‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ?’

26 October, 2021 06:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રણાલી રાઠોડનું કહેવું છે કે દુનિયાને વધુ સારી બનાવવા માટે દરેકે આ સવાલ પોતાની રિલેશનશિપને લઈને કરવો જોઈએ

પ્રણાલી રાઠોડ

પ્રણાલી રાઠોડનું કહેવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તેમની રિલેશનશિપ અને જે-તે વ્યક્તિ તેને માટે કેટલું મહત્ત્વનું છે એ સવાલ કરશે ત્યારે દુનિયામાં બદલાવ આવી જશે. તે હાલમાં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં અક્ષરાનું પાત્ર ભજવી રહી છે. ૨૦૦૯થી ચાલી રહેલા આ શોએ હંમેશાં દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું છે. આ વિશે વાત કરતાં પ્રણીલીએ કહ્યું કે ‘એક સફળ શોને આગળ લઈ જવાની તક મળવી એ સન્માનની વાત છે. હું જે શો જોઈને મોટી થઈ હતી એમાં હું આજે કામ કરી રહી છું. હિના ખાનને પ્રેમ કરવાથી લઈને આ શોનું મહત્ત્વ સમજવા સુધીની વાતને હું શબ્દોમાં કહી શકું એમ નથી. હું આ પાત્ર સાથે તરત જ કનેક્ટ થઈ ગઈ હતી. રિયલ લાઇફમાં પણ હું અક્ષરા જેવી જ છું. હું મારી ફૅમિલીને ખૂબ પ્રેમ કરું છું અને તેઓ મારા સારા-ખરાબ સમયમાં હંમેશાં મારા પડખે ઊભા રહ્યા છે. લવ ટ્રાયેન્ગલ સ્ટોરીને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. જોકે મારું માનવું છે કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ હંમેશાં પ્યૉર હોવો જોઈએ. ટાઇટલની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આપણે દરેકે આપણી રિલેશનશિપને લઈને પોતાને પૂછવું જોઈએ કે તે વ્યક્તિ આપણે માટે કેટલી મહત્ત્વની છે. મને લાગે છે કે આપણને જ્યારે એ જવાબ મળી જશે ત્યારે દુનિયા વધુ સારી બની જશે.’

entertainment news television news indian television tv show