11 April, 2021 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સતીશ કૌલ
‘મહાભારત’માં ઇન્દ્રનું પાત્ર ભજવનાર સતીશ કૌલનું ગઈ કાલે સવારે લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. થોડા દિવસ પહેલાં જ તેમને કોરોના થયો હતો. તેમની આર્થિક સ્થિતિ પણ સધ્ધર નહોતી. તેમની પાસે દવા અને જરૂરી ચીજવસ્તુઓ ખરીદવાના પૈસા પણ નહોતા. તેમણે ઇન્ડસ્ટ્રીમાં કામ માટે મદદ પણ માગી હતી જેથી તેમને થોડા પૈસા મળી શકે. સતીશ કૌલે પંજાબી અને હિન્દીની લગભગ ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટીવી ડિરેક્ટર્સ અસોસિએશનના અધ્યક્ષ અશોક પંડિતે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘લુધિયાણામાં પંજાબી અને હિન્દી ફિલ્મોના ઍક્ટર સતીશ કૌલના અવસાન વિશે સાંભળીને દુઃખ થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના પરિવાર અને તેમના નજીકના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.’