27 March, 2024 06:17 AM IST | Mumbai | Harsh Desai
જેનિફર મિસ્ત્રી બંસીવાલ , અસિત કુમાર મોદી
તેનું કહેવું છે કે આટલી નાની રકમ તો કોઈ પણ આપીને કંઈ પણ કરીને એમાંથી છટકી જઈ શકે અને એમ પણ હું તેમને આટલી સહેલાઈથી છોડવાની નથી
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો કેસ જીતી ગઈ છે. આ શોમાં મિસિસ રોશન સોઢીનું પાત્ર ભજવી ચૂકેલી જેનિફરે શોના મેકર્સ અસિતકુમાર મોદી, સોહેલ રમાની અને જતિન બજાજ વિરુદ્ધ મેન્ટલ અને સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટની ફરિયાદ કરી હતી. તેણે ૨૦૨૩માં FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) ફાઇલ કર્યો હતો. આ ફરિયાદનો ચુકાદો જેનિફરના પક્ષમાં આવ્યો છે. આ શો માટે તેના કામની જે સૅલેરી અટકાવવામાં આવી હતી એ આપી દેવા માટે ચુકાદામાં કહેવામાં આવ્યું છે. આ રકમ ૨૫-૩૦ લાખ રૂપિયાની આસપાસ છે. આ સાથે જ હૅરૅસમેન્ટના વળતરરૂપે પાંચ લાખ રૂપિયા આપવાનું ચુકાદામાં કહેવામાં આવ્યું છે. આ ચુકાદો અંદાજે એક મહિના પહેલાં આવ્યો હતો, પરંતુ જેનિફરને સોશ્યલ મીડિયા પર શૅર ન કરવાનું કહેવામાં આવ્યું હતું. આ વિશે વિક્ટરીની સાઇન આપતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જેનિફરે કૅપ્શન આપી હતી, ‘દંતકથા મુજબ આ તહેવાર હિરણ્યકશિપુ રાક્ષસ પર ભગવાન નરસિંહના વિજયની યાદમાં ઊજવવામાં આવે છે. આ તહેવાર બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે. હૅપી હોલી.’
આ સંદર્ભે જેનિફર ‘મિડ-ડે’ને કહે છે, ‘મને ખુશી છે કે આ નિર્ણય મારી ફેવરમાં આવ્યો છે. જોકે અસિત મોદી સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના કેસમાં દોષી છે એટલું કહેવું પૂરતું નથી. તેમણે હજી માફી પણ નથી માગી. મેં ત્રણ વ્યક્તિ અસિત, સોહેલ અને જતિન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સોહેલ અને જતિનને તો કોઈ સજા નથી થઈ. મારા જ પૈસા મને આપવાનું કહેવામાં આવ્યું છે. મને વળતરરૂપે ફક્ત પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. આટલી નાની રકમ હોય તો કોઈ પણ વ્યક્તિ પાંચ લાખ રૂપિયા આપીને કંઈ પણ કરીને એમાંથી છટકી જઈ શકે. હું આ માટે હવે હાઈ કોર્ટમાં જઈશ. હું તેમને આટલી સહેલાઈથી નહીં છોડું. મેં શરૂઆત કરી છે તો હવે પાછળ નહીં હટું.’
આ માટે અસિત મોદી અને સોહેલ રમાનીનો ફોન અને મેસેજ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ એનો કોઈ જવાબ મળ્યો નહોતો.
25-30
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં કામ કરી રહી હતી ત્યારે તેની અટકાવેલા આટલા લાખ રૂપિયા પાછા આપવા માટે લગભગ એક મહિના પહેલાં કહ્યું હતું, જે હજી સુધી ચૂકવવામાં નથી આવ્યા.