11 June, 2021 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝાન ખાન અને કુણાલ જયસિંહ
સોની ટીવીના શો ‘ક્યોં ઉત્થે દિલ છોડ આયે?’માં અમૃત, રણધીર અને વીર વચ્ચે પ્રણયત્રિકોણ સર્જાવાને કારણે સ્ટોરીમાં જબરદસ્ત વળાંક આવ્યો છે. એક બાજુ રણધીર (ઝાન ખાન)ને જેલ જતો અટકાવવા માટે અમૃત (ગ્રેસી ગોસ્વામી) વીર (કુણાલ જયસિંહ) સાથે પરણી જાય છે તો બીજી બાજુ વીર રણધીર અને અમૃતના સંબંધમાં અડચણ પેદા કરવાની કોશિશ કરે છે. શોના આગામી ટ્રૅકમાં કુણાલ જયસિંહ અને ઝાન ખાન ઍક્શન-પૅક્ડ સીન કરતાં જોવા મળશે. વીરની ચાલાકીને લીધે રણધીર ગુસ્સે ભરાય છે અને બન્ને વચ્ચેની લડાઈ ઘાતક સ્વરૂપ ધારણ કરે છે.
ઝાન ખાન કહે છે કે ‘મારે એક મજબૂત વ્યક્તિ તરીકે બેસ્ટ શૉટ આપવાનો હતો. આ પૂરા ઍક્શન સિક્વન્સનું શૂટિંગ જોરદાર રહ્યું. ફાઇટ સીન્સ કરવા મુશ્કેલ છે, કેમ કે અમને એ વાતની સાવધાની રાખવી પડે છે કે એકબીજાને નુકસાન ન પહોંચે. મારા ને કુણાલ બન્ને માટે આ પડકારજનક હતું, પણ અંતે તો અમે અદ્ભુત શૉટ જ આપ્યો છે!’