06 February, 2022 05:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલી અસગર
અલી અસગરનું કહેવું છે કે સૌને હસાવનાર સુનીલ ગ્રોવરને હાર્ટ-અટૅક કેવી રીતે આવી શકે. તાજેતરમાં સુનીલની હાર્ટ-સર્જરી કરવામાં આવી હતી. તેને છાતીમાં દુખાવો ઊપડતાં તે ચેકઅપ માટે ગયો ત્યારે જાણ થઈ કે તેને કોરોનાની સાથે બ્લૉકેજિસ પણ હતા. એથી તેની એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સર્જરી કરવામાં આવી હતી અને હવે તેને ડિસ્ચાર્જ મળી ગયો છે. તેની હેલ્થને લઈને અલી અસગરે કહ્યું કે ‘મને શરૂઆતથી જ લાગતું હતું કે કંઈક તો ગરબડ છે. તેને મેં જ્યારે હૉસ્પિટલમાંથી બહાર આવતો જોયો ત્યારે મને લાગ્યું કે કંઈક તો થયું છે. આ તો માનવશરીર છે. મને તો વિશ્વાસ જ નહોતો બેસતો કે તેને હાર્ટ-અટૅક આવ્યો હતો. તે એક એવો માણસ છે જે સૌને હસાવે છે. આવું તેની સાથે ન થવું જોઈએ. લોકોની પ્રાર્થના તેની સાથે છે. મને લાગે છે કે તે હવે પોતાની ખૂબ કાળજી રાખશે. કામના ચક્કરમાં તે ખૂબ બિઝી થઈ ગયો હશે. તેના સ્વાસ્થ્ય વિશે મેં તેના મૅનેજરને પૂછ્યું હતું અને તેને જણાવ્યું છે કે તેની હેલ્થ વિશે મને જણાવતો રહે. હાલમાં તો તેને આરામની જરૂર છે. હું તેના સંપર્કમાં રહીશ અને તેને મળવા જઈશ.’