02 August, 2021 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશી સિંહ
આશી સિંહનું કહેવું છે કે તેને ઘર કા ચિરાગ નહીં, ઘર કી ચિરાગ બનવામાં રસ છે. ઝીટીવી પર આવતા શો ‘મીત’માં તે ટાઇટલ રોલ ભજવી રહી છે. આ શોમાં તે હરિયાણાની છોકરીનું પાત્ર ભજવી રહી છે. તે પોતાની ફૅમિલી માટે કમાય છે અને ઘર ચલાવે છે. તે છોકરાઓ કરે છે એવાં દરેક કામ કરે છે અને જાતિને લગતા તમામ નિયમોને તોડે છે. તે રેબલ નથી, પરંતુ લાઇફ તરફનો તેનો અભિગમ તેની પાસે આ નિયમ તોડાવે છે. આ વિશે વાત કરતાં આશી સિંહે કહ્યું કે ‘મારું માનવું છે કે ‘મીત’ એક યુનિક શો છે જે સોસાયટીને વિચાર કરવા પર વિવશ કરી શકે છે. સમય આવી ગયો છે કે આપણે જાતિથી પર જઈને જે-તે વ્યક્તિના વ્યક્તિત્વનો સ્વીકાર કરીએ. કોઈ વ્યક્તિ ઘરની જવાબદારી ઉપાડતો હોય તો તે પુરુષ હોય કે સ્ત્રી એનાથી કોઈ ફરક નથી પડતો. આ શોમાં મારું પાત્ર ઘરનો છોકરો જે રીતે જવાબદારી ઉપાડે છે એ જ રીતે હું દીકરી હોવા છતાં ઉપાડી રહી છું. મારું પાત્ર કંઈ રેબલ નથી. હું પોતે જે છું એ રહું છું અને એથી જ નિયમ તૂટતા જાય છે. તેના પર ઘણી જવાબદારીઓ હોય છે અને તેની સામે જે પરિસ્થિતિ આવે એનો તે સામનો કરતી જાય છે. આશી અને મીત એકબીજાથી ખૂબ જ અલગ છે. આશા રાખું કે દર્શકોને મારું પાત્ર પસંદ પડે.’