અમિતકુમારે ‘ઇન્ડિયન આઇડલ’ની ખોલી પોલ?

12 May, 2021 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પેશ્યલ ગેસ્ટ તરીકે આવેલા અમિતકુમારે કહ્યું, ‘મને તો એપિસોડ અટકાવી દેવાનું મન થતું હતું’

અમિતકુમાર

ટીવી પર આવતા રિયલિટી શો રિયલ નથી હોતા, સ્ક્રિપ્ટેડ હોય છે એ પ્રકારની ચર્ચા વર્ષોથી થતી રહે છે. તાજેતરમાં સિન્ગિંગ રિયલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ની ૧૨મી સીઝનમાં લેજન્ડરી સિંગર કિશોરકુમારના પુત્ર અમિતકુમાર આવ્યા હતા. સ્વભાવિક છે કે સ્પર્ધકો અને જજિઝે પણ કિશોરકુમારનાં ગીતો ગાયાં હતાં. થયું એવું કે હિમેશ રેશમિયા, નેહા કક્કર અને અનુ મલિકે ગાયેલાં કિશોરકુમારનાં ગીતો મોટા ભાગના દર્શકોને ગમ્યાં નથી. લોકોનું કહેવું છે કે તેમણે કિશોરદાનાં ગીતોને અત્યંત ખરાબ રીતે રજૂ કર્યાં.

એપિસોડના સ્પેશ્યલ ગેસ્ટ અમિતકુમારને એ વિશે પૂછતાં તેમણે કહ્યું કે ‘સાચું કહું તો મને એપિસોડ અટકાવવાનું મન થતું હતું, પણ મને જે કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે મેં કર્યું. મને કહેવામાં આવ્યું હતું કે બધાનાં વખાણ કરવાનાં છે. સ્પર્ધકો જેવું પણ ગાય તેમને પ્રોત્સાહન આપવાનું છે, કેમ કે તેઓ કિશોરદાને ટ્રિબ્યુટ આપી રહ્યા છે. મને થયું કે આ મારા પિતાને શ્રદ્ધાંજલિ છે. મેં તેમને કહ્યું કે મને સ્ક્રિપ્ટ આપો પહેલાંથી, પણ એ તેમણે નહોતી આપી.’ દમણમાં શૂટિંગ થઈ રહ્યું હોવાથી આ એપિસોડમાં કમ્પોઝર-સિંગર વિશાલ દાદલાણી ગેરહાજર હતા. તેમની જગ્યાએ અનુ મલિક જજ તરીકે હાજર રહ્યા હતા.

entertainment news indian television television news tv show indian idol