17 July, 2019 04:02 PM IST | અમદાવાદ
અપકમિંગ થ્રિલર ગુજરાતી ફિલ્મ 47 ધનસુખ ભવનને રિલીઝ થવાને આડે હવે એકાદ અઠવાડિયું જ બાકી છે. ફિલ્મની ચર્ચા ચારે બાજું થઈ રહી છે. ફિલ્મ વન શોટ છે એટલે તો ખાસ છે જ, સાથે જ ફિલ્મની સ્ટોરી વિશે કોઈ ખુલાસો ન થતાં સસ્પેન્સ ઘેરાઈ રહ્યું છે. ત્યારે દર્શકો આ ફિલ્મ જોવા માટે તલપાપડ છે. રસપ્રદ વાત એ છે કે હજી ફિલ્મ રિલીઝ નથી થઈ તે પહેલા જ ફિલ્મની રિમેક બનવાની ચર્ચા શરૂ થઈ છે.
તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ફિલ્મ ધનસુખ ભવનનું એક પોસ્ટર વાઈરલ થયું છે, જેમાં ફિલ્મની હાલની સ્ટાર કાસ્ટના જ ત્રણ સ્ટાર્સ ગૌરવ પાસવાલા, રિશી વ્યાસ અને શ્યામ નાયર દેખાઈ રહ્યા છે. જો કે રસપ્રદ વાત એ છે કે ફિલ્મના આ ત્રણેય એક્ટર્સ ઉંમર લાયક દેખાઈ રહ્યા છે. આ ફોટો વાઈરલ થયા બાદ જ ફિલ્મની રિમેક બનવાની ચર્ચા શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે હજી સુધી કોઈ ગુજરાતી ફિલ્મની રિમેક નથી બની. ત્યારે 47 ધનસુખ ભવન તો રિલીઝ થાય તે પહેલા જ રિમેક બનવાની ચર્ચા ચાલી રહી છે.
જો 47 ધનસુખ ભવનની રિમેક બને તો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ ખાસ ઘટના હશે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે હાલ તો 47 ધનસુખ ભવનની રિમેક બનવાનો કોઈ પ્લાન નથી. અને ફિલ્મનું જે પોસ્ટર સોશિયલ મીડિયા પર વાઈરલ થયું છે. તે હકીકતમાં તો ફિલ્મની સ્ટારકાસ્ટે લીધેલી Face App ચેલેન્જ છે. જી હાં, ફિલ્મના ત્રણેય લીડ સ્ટાર્સ ગૌરવ પાસવાલા, રિશી વ્યાસ અને શ્યામ નાયરે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ફેસ એપ ચેલેન્જ લીધી છે. જેમાં આ ત્રણેય સ્ટાર્સનો ઓલ્ડ એજ અવતાર છે. ત્રણેયના આ ફોટોઝ લઈને જ ફિલ્મનું પોસ્ટર વાઈરલ થયું છે.
આ પણ વાંચોઃ Faceapp: ઘરડે ઘડપણે આવા લાગશે તમારા ફેવરિટ સ્ટાર્સ
ગેલોપ્સ ટોકિઝે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થવાની છે. 47 ધનસુખ ભવનના રાઈટર ડિરેક્ટર નૈતિક રાવલ આ પહેલા પણ બે ગુજરાતી ફિલ્મો આપી ચૂક્યા છે. 2011માં આવેલી ચાર અને 2016માં તેમણે જે પણ કહીશ એ સાચું જ કહીશ ફિલ્મ ડિરેક્ટ કરી હતી.