08 August, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હની સિંહ ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
પંજાબી ગાયક હની સિંહ પોતાના ગીત "મિલિયનેર" માં અશ્લીલ ભાષાના ઉપયોગને કારણે વિવાદમાં છે. પંજાબ મહિલા આયોગે આ ઘટનાની જાતે નોંધ લીધી છે અને હની સિંહને નોટિસ ફટકારી છે. આયોગે ડીજીપી ગૌરવ યાદવને પત્ર લખીને આ ગીતની તપાસની માગ કરી છે કારણ કે તેમનું માનવું છે કે ગીત મહિલાઓનું અપમાન કરે છે અને યુવાનો પર ખરાબ પ્રભાવ પાડી શકે છે.
પંજાબી ગાયક અને રેપર હની સિંહ ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. આ હની સિંહના ગીત "મિલિયનેર" ને લગતું છે, જેમાં મહિલાઓ વિરુદ્ધ અશ્લીલ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ છે. પંજાબ મહિલા આયોગે સુઓમોટો સંજ્ઞાન લીધું છે અને હની સિંહ સામે નોટિસ જાહેર કરી છે.
પંજાબ મહિલા આયોગના અધ્યક્ષે આ મામલે ડીજીપી ગૌરવ યાદવને પત્ર લખીને ગીતની ભાષા અને કન્ટેન્ટની તપાસની માગ કરી છે.
યુવાનો પર ખરાબ અસર પડશે
આયોગનું કહેવું છે કે ગીતમાં વપરાયેલી ભાષા અને દ્રશ્યો મહિલાઓના ગૌરવને ઠેસ પહોંચાડે છે, જેનાથી સમાજમાં ખોટો સંદેશ ફેલાય છે. આયોગનું માનવું છે કે જાહેર પ્લેટફોર્મ પર આવી ભાષા અને વિચારધારાને ફેલાવવું ખાસ કરીને યુવાનો પર ખરાબ અસર કરી શકે છે.
૧૧ ઑગસ્ટે હાજર થવું પડશે
આ કેસમાં, કમિશને ડીજીપીને સમગ્ર મામલાની તપાસ વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા કરાવવાનો નિર્દેશ આપ્યો છે અને આ તપાસના રિપોર્ટ સાથે, હની સિંહ સહિત સંબંધિત અધિકારીને ૧૧ ઑગસ્ટે સવારે ૧૧:૩૦ વાગ્યે મહિલા આયોગ સમક્ષ હાજર થવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
સિંગર બાદશાહે તાજેતરમાં સિંગર હની સિંહની જાહેરમાં માફી માગી છે અને જણાવ્યું કે તે પરસ્પર મતભેદ દૂર કરવા માગે છે. તો બીજી તરફ હની સિંહ તેને પોતાનો મિત્ર નથી ગણતો. ૨૦૧૧માં બન્ને વચ્ચે મોટો ઝઘડો થયો હતો. બન્ને વચ્ચે અનેક વખત વિવાદ પણ થયો હતો. હવે બાદશાહ આ દુશ્મનીને ખતમ કરવા માગે છે અને એથી તેણે હની સિંહની માફી માગી લીધી છે. બાદશાહની માફી પર હની સિંહ કહે છે, ‘મને સમજમાં નથી આવતું કે તે શું કહી રહ્યો છે. શું હું કદી પણ કોઈના વિશે ઘસાતું બોલ્યો છું? લોકો કહે છે કે મતભેદ થયો હતો. એક માણસ વર્ષો સુધી મારા વિશે વાતો કરતો રહ્યો અને પછી એક દિવસ અચાનક તે માફી માગી લે છે. એના વિશે હું શું કહું. મને તેની સાથે કોઈ લેવાદેવા નથી. હું તેને મારો મિત્ર નથી માનતો. તે કદી પણ મારો ફ્રેન્ડ નહોતો. મેં પણ સાંભળ્યું છે કે તેણે અમારી વચ્ચેના મતભેદનું વર્ણન કર્યું છે. મારા વિશે તેના દિમાગમાં અલગ જ સ્ટોરી ચાલી રહી છે. અનેક વર્ષો બાદ તેને હવે એહસાસ થયો છે. ભગવાન શિવ તેના પર દયા કરે. મને આશા છે કે તે જીવનમાં વધુ સફળ થશે. ફ્રેન્ડશિપમાં મેં કદી પણ એક ભાઈને બીજા ભાઈનું અપમાન કરતાં નથી જોયો.