31 July, 2026 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામાયણનું ટીઝર
રણબીર કપૂરને શ્રી રામ અને સાઈ પલ્લવીને સીતા માતાના રોલમાં ચમકાવતી ‘રામાયણ’નું ટ્રેલર ૩૦ જુલાઈએ સવારે સવાચાર વાગ્યે બ્રહ્મમુહૂર્તમાં રિલીઝ કરી દેવામાં આવ્યું છે. અંદાજે ચાર મિનિટ લાંબા આ ટ્રેલરમાં યશ, રણબીર કપૂર, સાઈ પલ્લવી, રવિ દુબે, અરુણ ગોવિલ, લારા દત્તા, રકુલ પ્રીત સિંહ અને વિવેક ઑબેરૉય સહિતના મોટા ભાગના કલાકારોની ઝલક જોવા મળે છે. હવે આ ટ્રેલર બ્રહ્મમુહૂર્તમાં રિલીઝ કરવાનું સાચું કારણ ચર્ચામાં આવ્યું છે.
શરૂઆતમાં ‘રામાયણ’ના નિર્માતાઓએ ટ્રેલર ૨૪ જુલાઈએ રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. એ સમયે યશ અને રણબીર કપૂર અમેરિકાના સૅન ડીએગોમાં યોજાયેલા કૉમિક-કૉનમાં હાજર હતા અને ત્યાં ટ્રેલર દર્શાવ્યા બાદ એને વૈશ્વિક સ્તરે યુટ્યુબ પર રિલીઝ કરવાની યોજના હતી. જોકે આ પછી નિર્માતાઓએ સોની પિક્ચર્સ સાથે કરાર કર્યો જેના હેઠળ ‘સ્પાઇડર-મૅન : બ્રૅન્ડ ન્યુ ડે’ના થિયેટર શો સાથે ‘રામાયણ’નું ટ્રેલર જોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હવે ‘સ્પાઇડર-મૅન : બ્રૅન્ડ ન્યુ ડે’ ૩૦ જુલાઈએ વિશ્વભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થાય કે તરત જ ટ્રેલર લીક થવાની શક્યતા હતી. આ લીકને ટાળવા માટે ‘રામાયણ’ના મેકર્સે ફિલ્મ મૉર્નિંગ શોમાં રિલીઝ થાય એ પહેલાં જ ટ્રેલરને બ્રહ્મમુહૂર્તમાં સવારે સવાચાર વાગ્યે જ રિલીઝ કરી દેવાનો નિર્ણય લીધો હોવાના રિપોર્ટ છે.