10 May, 2021 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રમ ભટ્ટ
વિક્રમ ભટ્ટે કોરોનાના ઉપચારને લઈને જે પણ મેસેજિસ સોશ્યલ મીડિયામાં ફરે છે એને લઈને લોકોને સાવધ કર્યા છે. સાથે જ જે પ્રકારે જરૂરતમંદ લોકોની મદદ કરવામાં આવે છે એની પણ પ્રશંસા કરી છે. એ વિશે વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે ‘વૉટ્સઍપ ગ્રુપ્સ અને લાખો મેસેજિસ આવે છે કે જેમાં કોવિડના ઉપચાર અને એનાથી બચવાના જે પણ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે એ બધા પાયાવિહોણા છે. આ કપરા સમયમાં એક વસ્તુ છે જેને જોઈને મને ખુશી થાય છે અને એ એ છે કે લોકો નિઃસ્વાર્થભાવે એકબીજાની મદદ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી અજાણ્યા લોકોને સાથ આપી રહ્યા છે. ઑક્સિજન સિલિન્ડર્સ, જમવાનું, જરૂરતમંદ લોકોની સહાય કરવાનું કામ સ્વયંસેવકો કરી રહ્યા છે. આ ખરું ભારત છે. આવી જ ઝલક આપણે ૨૦૦૫ના જુલાઈમાં મુંબઈમાં આવેલા પૂરમાં જોઈ હતી. માનવતાની મહેંક અને સાયન્સ આ વાઇરસને જરૂર હરાવશે. હાલની સ્થિતિને જોતાં આપણે પણ જવાબદાર બનવું જોઈએ. મહામારીની આ બીજી લહેર છે. આના માટે આપણે જ જવાબદાર છીએ. એનાથી બચવાનો એકમાત્ર ઉપાય એટલે સુરક્ષાના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું.’