04 June, 2020 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનવર સાગરનું 70 વર્ષની ઉંમરે નિધન થયું છે
અક્ષય કુમાર સ્ટાટર 'ખિલાડી' ફિલ્મનું 'વાદા રહા સનમ' જેવું સુપરહીટ ગીત લખનાર વરિષ્ઠ ગીતકાર અનવર સાગરનું બુધવારે નિધન થયું છે. હૃદયરોગનો હુમલો થતા 70 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું. કોકિલાબેન હૉસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, જ્યારે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમનું મૃત્યુ થઇ ચૂક્યું હતું.
દિવંગત અનવર સાગરના દીકરા સુલતાન સાગરે જણાવ્યું હતું કે, તેમની તબિયત સવારે ખરાબ થયા પછી તેમને લઈને સુજોય, મોડર્ન, ક્રિટિ કેર જેવી ઘણી હૉસ્પિટલોમાં ફર્યા પરંતુ બધાએ જગ્યા નથી એવું કહીને તેમની સારવાર ન કરી. ત્યારબાદ તેમને અંધેરી સ્થિત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પરંતુ ત્યા પહોંચતા જ તેમની હાર્ટ બીટ બંધ થઈ ગઈ અને હાર્ટ અટેકને કારણે તેમનું મૃત્યુ થયું. જોકે, ડોક્ટર્સે તેમને બચાવવા ઘણા પ્રયત્ન કર્યા પણ સફળ ન થયા. બપોરે 12 વાગ્યે તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા.
સાગર અનવર ગાયક અને ઈન્ડિયન પર્ફોમર પણ હતા. અનવરે 80 અને 90ના દશકમાં ડેવિડ ધવનની 'યારાના', જેકી શ્રોફની 'સપનેં સાજન કે', અક્ષય કુમારની 'ખિલાડી' અને 'મૈં ખિલાડી તૂ અનાડી' તેમજ અજય દેવગનની 'વિજયપથ' માટે ગીત લખ્યા હતા. તેમને ખિલાડી ફિલ્મના વાદા રહા સનમ સોન્ગથી ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ મળી હતી.