ટોટલ ટાઇમપાસ : પૅટરનિટી લીવ બાદ કામ શરૂ કર્યું સૈફે, જુઓ ‘RRR’ની સીતા

16 March, 2021 02:27 PM IST  |  Mumbai | Pratik Ghogare

ફૅમિલી સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરવા તેણે કામમાંથી બ્રેક લીધો હતો. સૈફ ‘ભૂત પોલીસ’ અને ‘આદિપુરુષ’માં જોવા મળવાનો છે.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાને પૅટરનિટી લીવ બાદ શૂટિંગ શરૂ કરી દીધું છે. તે હાલમાં જ વર્સોવાની જેટીમાં દેખાયો હતો. તેણે ઑરેન્જ ટી-શર્ટ અને વાઇટ પૅન્ટ પહેર્યું હતું. વર્સોવા પહોંચતાં જ ફોટોગ્રાફર્સ તેના ફોટો ક્લિક કરવા લાગ્યા હતા. તેની વાઇફ કરીના કપૂર ખાને તાજેતરમાં જ એક દીકરાને જન્મ આપ્યો છે. એથી ફૅમિલી સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરવા તેણે કામમાંથી બ્રેક લીધો હતો. સૈફ ‘ભૂત પોલીસ’ અને ‘આદિપુરુષ’માં જોવા મળવાનો છે.

આ છે ‘RRR’ની સીતા

આલિયા ભટ્ટે તેની ‘RRR’નો લુક શૅર કર્યો છે. આ ફિલ્મમાં તે સીતાના રોલમાં દેખાશે. આ ફિલ્મ એસ. એસ. રાજામૌલી બનાવી રહ્યા છે. ફોટોમાં આલિયાએ ગ્રીન સાડી અને રેડ બ્લાઉઝ પહેર્યાં છે. ફિલ્મમાં તેલુગુ સ્ટાર્સ રામચરણ અને જુનિયર એન.ટી.આર.ની સાથે અજય દેવગન પણ જોવા મળશે. આ ફિલ્મમાં બે મહાન સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી રાજુ અને કોમારામ ભીમના શૌર્યની કહાણી દેખાડવામાં આવશે. આલિયાએ પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. તો બીજી તરફ આલિયાનો લુક ટ્વિટર પર શૅર કરીને એસ. એસ. રાજામૌલીએ ટ્વીટ કર્યું હતું કે ‘સીતાનો રામારાજુનો રાહ ઐતિહાસિક રહેશે. તેનામાં ખૂબ જ પ્રબળ ઇચ્છાશક્તિ છે. અહીં આલિયાને સીતા તરીકે રજૂ કરીએ છીએ.’

૧૮ માર્ચે અયોધ્યામાં ‘રામ સેતુ’નો આરંભ કરશે અક્ષયકુમાર

અક્ષયકુમાર તેની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘રામ સેતુ’નો શુભારંભ અયોધ્યા જઈને કરવાનો છે. ૧૮ માર્ચના દિવસે ફિલ્મના ડિરેક્ટર અભિષેક શર્મા અને ક્રીએટિવ પ્રોડ્યુસર ડૉક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિવેદી સાથે અક્ષયકુમાર અયોધ્યા જશે. આ ફિલ્મમાં અક્ષયકુમાર આર્કિયોલૉજિસ્ટના રોલમાં દેખાશે. ફિલ્મમાં તેની સાથે જૅકલિન ફર્નાન્ડિસ અને નુશરત ભરૂચા પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મને અલગ-અલગ સ્થાનો પર શૂટ કરવામાં આવશે. જોકે ૮૦ ટકા શૂટિંગ મુંબઈમાં કરવામાં આવશે. ફિલ્મ વિશે ડૉક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘રામ સેતુ’ની જર્નીની શરૂઆત રામ જન્મભૂમિ અયોધ્યાથી કરવામાં આવે એનાથી વધુ સારી બાબત કોઈ ન હોઈ શકે. અયોધ્યામાં હું ઘણી વખત આવી ચૂક્યો છું. એથી મેં અક્ષયકુમાર અને ટીમને સલાહ આપી હતી કે આપણા પ્રોજેક્ટની શરૂઆત ભગવાન રામના પાવન મંદિરથી કરીએ. અમે મુરત શૉટ અયોધ્યામાં કરીશું અને ફિલ્મનો શુભારંભ કરીશું.’
અક્ષયકુમારના રોલ વિશે ડિરેક્ટર અભિષેક શર્માએ કહ્યું હતું કે ‘અક્ષય સર આર્કિયોલૉજિસ્ટના રોલમાં દેખાશે.
તેમનો લુક અને તેમનું પાત્ર આ ક્ષેત્રમાં સક્રિય એવા અનેક ભારતીય અને ઇન્ટરનૅશનલ પ્રોફેશનલ આર્કિયોલૉજિસ્ટ્સથી પ્રેરિત છે.’

ટાઇપકાસ્ટ થવા માટે ઍક્ટર્સ પોતે જ જવાબદાર હોય છે : કીર્તિ કુલ્હારી

કીર્તિ કુલ્હારીનું માનવું છે કે ટાઇપકાસ્ટ માટે મોટા ભાગે તો ઍક્ટર્સ પોતે જ જવાબદાર હોય છે. તેનું એમ પણ કહેવું છે કે અલગ પ્રકારના રોલ્સ કરવા માટે ઍક્ટર્સે જાતે જ તટસ્થ રહેવું જરૂરી છે. કીર્તિએ વેબ-સિરીઝ ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ અને ‘ક્રિમિનલ જસ્ટિસ : બિહાઇન્ડ ક્લોઝ્ડ ડોર્સ’ની સાથે ફિલ્મો ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં અને ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’માં ભજવેલાં પાત્રો એકબીજાથી અલગ હતાં. ટાઇપકાસ્ટ વિશે કીર્તિએ કહ્યું હતું કે ‘ટાઇપકાસ્ટ માટે તમે પણ એટલા જ જવાબદાર છો જેટલા કે તમને ટાઇપકાસ્ટના રોલ ઑફર કરનાર વ્યક્તિ. તમને અલગ પ્રકારની પસંદગી કરવી જોઈએ અને ના કહેતાં શીખવું જોઈએ. ના કહેવી એટલું સરળ પણ નથી, પરંતુ જો તમે ના ન કહી શકો તો તમને ફરિયાદ કરવાનો પણ કોઈ અધિકાર નથી. જો તમે તમારી પસંદગીના રોલ્સ માટે મક્કમ રહો તો જ તમે ટાઇપકાસ્ટના સાંચાને તોડી શકશો. ટાઇપકાસ્ટ તો દરેક પ્લૅટફૉર્મ પર થાય છે, કોઈ એક ચોક્કસ પ્લૅટફૉર્મ પર નથી થતું.
લોકોને કારણે જ ટાઇપકાસ્ટ અને સ્ટિરિયોટાઇપ થાય છે. દરેક ઠેકાણે આવી સમસ્યા તો રહેવાની છે. પ્રામાણિકપણે કહું તો મારી સાથે આવું થોડાં વર્ષો પહેલાં જ બંધ થઈ ગયું છે. મેં દરેક વખતે દરેક શોમાં અલગ પાત્રો ભજવ્યાં છે. લોકો એ વાત સારી રીતે જાણે છે કે તે પોતાનાં કૅરૅક્ટર્સને રિપીટ નથી કરતી. દરેક વખતે મને નવું જ ઑફર કરવામાં આવે છે. આવી રીતે મેં ટાઇપકાસ્ટિંગના સાંચાને જ તોડી નાખ્યો છે.’

મરાઠી વેબ ફિલ્મ ‘હકમારી’ લઈને આવશે અક્ષય બરદાપુરકર અને સોનાલી કુલકર્ણી

મરાઠી વેબ ફિલ્મ ‘હકમારી’ પ્લેનેટ મરાઠીના સીએમડી અક્ષય બરદાપુરકર અને સોનાલી કુલકર્ણી લઈને આવશે. મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકગાયકોના જીવન પર આધારિત આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ રહેશે. ફિલ્મ વિશે અક્ષય બરદાપુરકરે કહ્યું કે ‘ફિલ્મ ‘હકમારી’ પારંપરિક હૉરર સિનેમાને પડકાર આપે છે. આ એક અલગ પ્રકારના યુગમાં સેટ કરવામાં આવેલી એક ઇન્ટરૅક્ટિવ વેબ-ફિલ્મ છે. ફિલ્મમાં અંધવિશ્વાસ, લોકકથાઓ, રહસ્ય અને પ્રેમ દેખાડવામાં આવશે. આ પ્લેનેટ મરાઠીની પહેલી વેબ-ફિલ્મ છે. અમે આ અદ્ભુત પ્રકારની ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહી છીએ. આ ફિલ્મ દ્વારા લોકો ઉત્સાહપૂર્વક પોતાની સીટ પર જકડાઈ રહેવાના છે.’

‘રેસ 3’ અને ‘હાઉસફુલ 4’ જોઈને લોકોને મારા અસ્તિત્વનો અહેસાસ થયો : બૉબી દેઓલ

બૉબી દેઓલનું માનવું હતું કે લોકો જ્યારે ‘રેસ 3’ અને ‘હાઉસફુલ 4’ જોવા જશે તો તેમને અહેસાસ થશે કે તે પણ અસ્તિત્વમાં છે. વેબ-સિરીઝ ‘આશ્રમ’માં તેની ઍક્ટિંગની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. ‘રેસ 3’ અને ‘હાઉસફુલ 4’ વિશે બૉબી દેઓલે કહ્યું હતું કે ‘મારી કરીઅરમાં મેં ખૂબ ઉતાર-ચડાવ જોયા છે. એક સમય એવો પણ આવ્યો જ્યારે મારી પાસે કામ નહોતું. એવા સમયે તમે એવા પ્રોજેક્ટ્સ શોધો છો જેમાં અનેક કલાકારો હોય. એથી તમારી તરફ પણ લોકોનું ધ્યાન જાય. જે રીતે મેં ‘રેસ 3’ અને ‘હાઉસફુલ 4’માં કામ કર્યું હતું. એમાં ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો સુપરસ્ટાર સલમાન ખાન અને અક્ષયકુમાર હતો. મને ખાતરી હતી કે લોકો આ ફિલ્મો જોવા જશે. તેઓ જ્યારે આ ફિલ્મો જોશે તો તેમને પણ અહેસાસ થશે કે બૉબી દેઓલ પણ અસ્તિત્વમાં છે.’
લીડ રોલ કરવાને વધુ મહત્ત્વ ન આપવાની વાત કરતાં બૉબી દેઓલે કહ્યું હતું કે ‘મારો હંમેશાંથી પ્રયાસ રહ્યો છે કે હું કૅરૅક્ટરને આકર્ષિત કરનારા રોલ્સ કરું. હું કોઈ પ્રોજેક્ટમાં લીડ રોલ નથી કરવા માગતો. હું એવાં કૅરૅક્ટર ભજવવા માગું છું જે યાદગાર હોય. એક ઍક્ટર તરીકે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને આવા રોલ્સ કરવા પડકારજનક છે.’

‘મહાભારત’ના ગુરુ દ્રોણાચાર્યે લીધી વૅક્સિન

‘મહાભારત’ સિરિયલમાં દ્રોણાચાર્ય બનેલા સુરેન્દ્રપાલ સિંહે કોરોનાની વૅક્સિન લીધી છે.
કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં જઈને તેમણે વૅક્સિન લીધી હતી. વૅક્સિન લેતો તેમનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. તેમણે ‘શક્તિમાન’, ‘વોહ રહનેવાલી મહલોં કી’, ‘લેફ્ટ રાઇટ લેફ્ટ’, ‘વિષ્ણુ પુરાણ’ અને ‘દેવોં કે દેવ મહાદેવ’માં પણ કામ કર્યું છે. સાથે જ તેમણે હિન્દી ફિલ્મોમાં પણ ઍક્ટિંગ કરી હતી.

જબરદસ્ત પ્રૅક્ટિસ કરી રહી છે તાપસી

તાપસી પન્નુ તેની આવનારી ફિલ્મ ‘શાબાશ મિઠુ’ની જોરદાર તૈયારી કરી રહી છે. આ ફિલ્મમાં તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન મિતાલી રાજનું પાત્ર સ્ક્રીન પર સાકાર કરતી જોવા મળવાની છે. પોતાની ફિલ્મો સાથે જોડાયેલી માહિતીઓ તે સોશ્યલ મીડિયા પર હંમેશાં શૅર કરતી રહે છે. તાપસી હાલમાં ક્રિકેટની સખત ટ્રેઇનિંગ લઈ રહી છે. એનો વિડિયો તાપસીએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો.

રૂપાલી ગાંગુલી ‘નચ બલિયે’માં ક્યારેય ભાગ કેમ નહીં લે?

૨૦૦૫થી સ્ટાર પ્લસ પર આવતા રિયલિટી ડાન્સ શો ‘નચ બલિયે’ની ૧૦મી સીઝનનાં એંધાણ મંડાઈ રહ્યાં છે. આમ તો આ શો ગયા વર્ષે ૨૦૨૦માં આવવાનો હતો, પરંતુ કમબખ્ત કોરોનાને કારણે પોસ્ટપોન થયો અને હવે આ વર્ષે એ આવવાનો છે એવા સમાચાર છે.
ઇન ફૅક્ટ, ડાન્સ શોનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે અને એમાં કયાં કયાં સેલિબ્રિટી કપલ્સ ભાગ લેશે એની ચર્ચા પણ થઈ રહી છે.
સ્ટાર પ્લસના જ શો ‘અનુપમા’માં ટાઇટલ રોલ ભજવીને ઘેર-ઘેર જાણીતી થયેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલી પતિ અશ્વિન વર્મા સાથે ભાગ લેશે એવી વાતો થઈ રહી હતી. એ વાતનું ખંડન કરતાં અનુપમાએ કહ્યું કે ‘અશ્વિન અને ‘હું નચ બલિયે ૧૦’માં ભાગ લેવાનાં છીએ એ સમાચાર બીજું કંઈ જ નહીં, અફવા છે. હું ક્યારેય ‘નચ બલિયે’માં ભાગ નહીં લઉં, કેમ કે મારા પતિ અશ્વિન ક્યારેય પડદા પર દેખાવા નથી માગતા. તેઓ મને ‘અનુપમા’માં જોઈને જ ખુશ છે. માટે નાચવાનો તો પ્રશ્ન જ નથી આવતો!’

bollywood news bollywood bollywood gossips entertainment news alia bhatt saif ali khan