01 March, 2026 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરંપરાગત લગ્નોમાં દુલ્હન આવી ડોલીમાં બેસીને પતિગૃહે વિદાય થતી હોય છે
૨૬ ફેબ્રુઆરીએ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ઉદયપુરમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયાં હતાં. બન્નેએ પોતાનાં લગ્નની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી જેને ફૅન્સે બહુ પસંદ કરી હતી. હવે લગ્નનું ડેકોરેશન તૈયાર કરનાર ટીમે આ ખાસ દિવસની કેટલીક ખાસ તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાંથી એકમાં રશ્મિકા લગ્નમાં ડોલી તરીકે ઓળખાતી પરંપરાગત પાલકીમાં બેસેલી જવા મળે છે અને તેણે હાથથી હાર્ટની સાઇન બનાવી છે. પરંપરાગત લગ્નોમાં દુલ્હન આવી ડોલીમાં બેસીને પતિગૃહે વિદાય થતી હોય છે.
રાની મુખરજીને લીડ રોલમાં ચમકાવતી ‘મર્દાની’ ફ્રૅન્ચાઇઝની ત્રીજી ફિલ્મ ‘મર્દાની 3’ની ભારતમાં બૉક્સ ઑફિસ પર નેટ કમાણીનો આંકડો ૫૦ કરોડ રૂપિયાને પાર થઈ ગયો છે. આ સાથે જ એ ફિલ્મ ફ્રૅન્ચાઇઝીની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. આંકડા પર નજર ફેરવીએ તો આ ફિલ્મે પહેલા અઠવાડિયે ૨૬.૫૫ કરોડ રૂપિયાની, બીજા અઠવાડિયે ૧૫.૬૫ કરોડ, ત્રીજા અઠવાડિયે ૫.૩૫ કરોડ અને ચોથા અઠવાડિયે ૨.૫૨ કરોડ એમ કુલ ૫૦.૦૭ કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે.
પ્રોડ્યુસર એકતા કપૂરના લોકપ્રિય શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’માં મિહિરનું પાત્ર ભજવીને અમર ઉપાધ્યાયે ભારે લોકપ્રિયતા મેળવી હતી. હવે તેના પગલે ચાલીને તેના પુત્ર આર્યમને પણ અભિનયની દુનિયામાં પગલું મૂક્યું છે. હાલમાં અમર ઉપાધ્યાયે સોશ્યલ મીડિયા પર આર્યમનની સ્ટેજ-પ્લેની તસવીરો શૅર કરી અને તેના અભિનયની પ્રશંસા કરી. આ પોસ્ટ દ્વારા તેણે પોતાના પુત્રના તાજેતરના સ્ટેજ-પર્ફોર્મન્સ માટે વખાણ કર્યાં અને સાથે જ ફોકસ્ડ રહેવાની, આકરી મહેનત કરવાની અને જાત પરનો વિશ્વાસ ક્યારેય ન ગુમાવવાની સલાહ આપી.
અમર ઉપાધ્યાયે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘એટલા સારા બનો કે લોકો તમારી અવગણના ન કરી શકે. મહેનત કરો, તમારું શ્રેષ્ઠ આપો, જાત પરનો વિશ્વાસ ક્યારેય ન ગુમાવો અને લોકો શું કહે છે એ વિશે ધ્યાન ન આપો. આર્યમને સ્ટેજ પર શાનદાર પ્રદર્શન કર્યું. થિયેટર અને કલા શીખતા રહો.’
ઈશાન ખટ્ટર હાલમાં કામમાંથી થોડો બ્રેક લઈને પરિવાર સાથે વેકેશનની મજા માણી રહ્યો છે. હાલમાં તેણે પોતાના સોશ્યલ મીડિયા પર વેકેશનની તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે ભાઈ શાહિદ કપૂર અને ભાભી મીરા રાજપૂત સાથે બીચ પર શાંતિનો સમય પસાર કરી રહ્યો છે. આ તસવીરમાં ત્રણેય વચ્ચે જબરદસ્ત બૉન્ડિંગ જોવા મળી રહ્યું છે.
અદિવી શેષ અને મૃણાલ ઠાકુર ૧૦ એપ્રિલે રિલીઝ થનારી ‘ડકૈત : એક પ્રેમ કથા’માં સાથે જોવા મળશે. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સારું પ્રદર્શન કરે એ માટે બન્ને કલાકારો તાજેતરમાં તિરુપતિ વેન્કટેશ્વર મંદિર પહોંચ્યાં હતાં અને અહીં તેમણે ભગવાન વેન્કટેશ્વરનાં દર્શન કરીને, પૂજા-અર્ચના કરીને ભગવાનના આશીર્વાદ લીધા હતા. અહીં મૃણાલ અને અદિવી શેષે ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી.