સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી પર કર્યો કેસ

28 July, 2020 07:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી પર કર્યો કેસ

સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસમાં એક નવો અને જબરજસ્ત વળાંક આવ્યો છે. અભિનેતાના પિતા કે.કે. સિંહે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે અમુક સેલેબ્ઝ પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. જોકે એમણે કોઈની સામે નામજોગ ફરિયાદ નોંધાવી નથી. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે, અભિનેતાના પિતાએ તેની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) પર સુશાંતના અકાઉન્ટમાંથી 17 કરોડ રૂપિયા ઉપાડી લેવાનો આરોપ મુક્યો છે.

સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, સુશાંતના પિતાએ પોલીસને ઘણી મહત્ત્વની બાતમી પણ આપી છે. તે પ્રમાણે પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 341, 342, 380, 406, 420 અને 306 હેઠળ ફરિયાદ નોંધી છે. રાજીવ નગર પોલીસ સ્ટેશનના SSP ઉપેન્દ્ર શર્માએ તપાસ માટે ચાર પોલીસ અધિકારીઓની એક ટીમ પણ મુંબઈ મોકલી છે. ચારેય પોલીસ અધિકારીઓ મુંબઈ પહોંચી ગયા છે. હવે મુંબઈ પોલીસની મદદ લઈને આ કેસની તપાસ આગળ વધારવામાં આવશે. ચાર પોલીસ અધિકારીઓની ટીમે મુંબઈ પોલીસના એક ઉચ્ચ અધિકારી સાથે વાત પણ કરી છે અને સુશાંતની કેસ ડાયરીની કોપી પણ માગી છે.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતના શરીરમાં કોઈપણ પ્રકારનું ઝેર નહોતું: વિસેરા રિપોર્ટ

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતા ડિપ્રેશનનો શિકાર હતો અને છ મહિનાથી સારવાર ચાલી રહી હતી. આ કેસની પોલીસ તપાસ ચાલી રહી છે. હજી સુધી પોલીસે લગભગ 37 લોકોની પૂછપરછ કરી છે. મળતી માહિતી પ્રમાણે સુશાંતના પરિવારે પોલીસને જે માહિતી આપી છે તે પ્રમાણે, સુશાંત ડિપ્રેશનમાં નહોતો. તેમની સુશાંત સાથે દરરોજ વાત થતી હતી. સુશાંતના હાવભાવ પરથી એ સહેજ પણ ડિપ્રેશનમાં હોય તેવું લાગતું નહોતું. સુશાંતના અકાળે મૃત્યુ પછી સતત આ કેસની CBI તપાસની માગ થઈ રહી છે.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput bihar patna mumbai police rhea chakraborty