સુશાંત સિંહ રાજપુતના ભાઈનો આક્ષેપ: અભિનેતા પર બૉલીવુડ તરફથી દબાણ હતું

28 June, 2020 02:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપુતના ભાઈનો આક્ષેપ: અભિનેતા પર બૉલીવુડ તરફથી દબાણ હતું

સુશાંત સિંહ રાજપુત ભાઈ નિરજ કુમાર બબલૂ સાથે (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા બાદ એક તરફ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે તો બીજી બાજુ બૉલીવુડમાં સગાવાદના મુદ્દાએ જોર પકડયું છે. અભિનેતાની આત્મહત્યાની અનેક અટકળો બાંધવામાં આવી રહી છે. દરમ્યાન સુશાંત સિંહ રાજપુતના ભાઈ નિરજ કુમાર બબલૂએ કહ્યું છે કે, પરિવારને એવું લાગે છે કે અભિનેતા પર બૉલીવુડ તરફથી કોઈ દબાણ હતું. સુશાંતના ભાઈ નીરજે ફિલ્મ પ્રોડયુસર સંદીપ સિંહના નિવેદન બાદ આ વાત કહી હતી.

ફિલ્મ પ્રોડયુસર સંદીપ સિંહે દાવો કર્યો હતો કે, સુશાંત સિંહ રાજપુતના નિર્માતા કરણ જોહર અને એકતા કપૂર સાથે સારા સંબંધો હતા અને તેના પર કોઈ પ્રકારનું દબાણ પણ નહોતું. તેમજ સગાવાદનો ટાર્ગેટ પણ નહોતો.

સમાચાર એજન્સી એએનઆઈના મતે, સુશાંતના ભાઈનું કહેવું છે કે, અત્યારે અમે સુશાંતના નિધન પછીની ધાર્મિક વિધિઓ અને રીવાજો પુરા કરી રહ્યાં છીએ. બૉલીવુડ ઈન્ડસ્ટ્રીના મોટા ર્સ્ટાસે સુશાંત સિંહ રાજપુત સાથેના વ્યવહારની વાત કરી છે. પણ અમને લાગે છે કે, તેના પર બૉલીવુડ તરફથી કોઈક દબાણ હતું અથવા તો આ બૉલીવુડ સેલેબ્ઝે સુશાંતનું સમર્થન નહીં કર્યું હોય એટલે આ બાબતની તપાસ થવી જોઈએ. અમે તપાસના રીપોર્ટની રાહ જોઈ રહ્યાં છે.

સંદીપ સિંહના નિવેદન વિશે નીરજે કહ્યું હતું કે, સંદીપ સિંહ સુશાંતના મિત્ર હોઈ શકે છે. તેમને મિડિયા સાથે પોતાની વ્યક્તિગત વાત કરી. પરંતુ જ્યા સુધી તપાસ ચાલી રહી છે અમે તેના પર જ આધાર રાખીશું.

સુશાંત સિંહ રાજપુતના ભાઈનું કહેવું છે કે, તે ફક્ત પોલીસ તપાસ પર જ ભરોસો કરી રહ્યાં છે અને પોલીસના રીપોર્ટની પ્રતિક્ષા કરશે. એટલું જ નહીં નીરજનું કહેવું છે કે, અમે એક પરિવાર તરીકે હસ્તક્ષેપ નથી કરી રહ્યાં. તપાસ પુર્ણ થઈ જાય પછી બધા પાસાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશું કે શું કરવું. કારણકે અભિનેતા લોકોની પ્રેરણા હોય છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપુતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

entertainment news bollywood bollywood gossips bollywood news sushant singh rajput karan johar ekta kapoor