17 June, 2020 03:32 PM IST | Patna | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા
34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાનો મામલો ડગલેને પગલે કોઈક નવો વળાંક લઈ રહ્યો છે. અભિનેતાની આત્મહત્યા બાદ બૉલીવુડના કેટલાક સ્ટાર્સ વિરુદ્ધ પટનામાં દેખાવો કરવામાં આવ્યા હતા. હવે આ મામલે બિહારના મુઝફ્ફરપુરમાં સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપડા, સાજિદ નડિયાદવાલા સહિત બૉલીવુડ ઈન્ડસ્ટ્રીના આઠ લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. અભિનેતાને આત્મહત્યા કરવા માટે આ લોકોએ મજબુર કર્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
મુઝફ્ફરપુર સીજીએમ કોર્ટમાં એડ્વોકૅટ સુધીર કુમાર ઓઝાએ અભિનેતા સુશાંત સિંહ રાજપુતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા બદલ સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપડા, સાજિદ નડિયાદવાલા સહિત આઠ લોકો પર કેસ દાખલ કર્યો છે. આ લોકો પર આઈપીસીની ધારા 306, 109, 504 અને 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની કોર્ટમાં ત્રીજી જુલાઈએ સુનાવણી થશે.
મળતી માહિતી પ્રમાણે, એડ્વોકૅટ સુધીર કુમાર ઓઝાએ આરોપ મુક્યો છે કે સુશાંત સિંહ રાજપુતને લગભગ સાત ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવ્યો છે અને તેની કેટલીલ ફિલ્મો રિલિઝ પણ નથી થઈ. આ પરિસ્થિતિએ જ તેને અંતિમ પગલું ભરવા માટે પ્રેરિત કર્યો છે.
પોતાના વિરુધ્ધ કેસ દાખલ થયો હોવાના સમાચાર સાંભળીને એકતા કપૂને બહુ જ દુ:ખ થયું છે. એકતા કપૂરે નારાજગી વ્યક્ત કરતા સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે, સુશીને કાસ્ટ ન કર્યો એટલા માટે કેસ કરવા બદલ આભાર...જ્યારે મેં જ તેને લૉન્ચ કર્યો હતો. હું બહુ જ દુ:ખી થઈ છું. થિયરીઓ આટલી ગુનાહિત કઈ રીતે હોઈ શકે! કૃપા કરીને પરિવાર અને મિત્રોને શૉકમાં રહેવા દો. સત્ય બહાર આવશે. મને આ વાત પર વિશ્વાસ જ નથી થતો.
સુશાંત સિંહ રાજપુતે 14 જૂને બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. અભિનેતાના મૃત્યુને લીધે બિહારના લોકોનો ગુસ્સો ચરમ સીમા પર છે. સુશાંતના મૃત્યુની તપાસ થવી જોઈએ તેવી માગણી સાથે મંગળવારે રાજધાની પટના સહિત અન્ય જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.