02 September, 2020 04:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુશાંત સિંહ રાજપૂત
14 જુનના આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુને અઢી મહીના કરતા વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજી સુધી એ કોયડો ઉકેલાયો નથી કે આ આત્મહત્યા હતી કે પછી હત્યા! અભિનેતાના કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) કરી રહી છે. CBIની તપાસનો આજે 13મો દિવસ છે. CBI આ કેસ સાથે જોડાયેલા તમામ લોકોની પૂછપરછ કરી રહી છે. પરંતુ હજી સુધી કોઈ જ સ્પષ્ટતા થઈ નથી. રિપોર્ટનું માનીએ તો, CBIના અધિકારીઓને અત્યાર સુધી સુશાંતની હત્યાનો કોઈ પુરાવો નથી મળ્યો. તપાસ હજુ પણ ચાલુ છે અને હવે CBI આત્મહત્યાના એંગલ પર તપાસ આગળ વધારી રહી છે.
મિડિયા રિપોર્ટ્સ મુજબ, સીબીઆઈના અધિકારીઓએ કહ્યું કે, તેઓ આત્મહત્યાના એંગલ પર ફોકસ કરી રહ્યા છે. તેઓ એવી પણ તપાસ કરી રહ્યા છે કે, ક્યાંક આ કેસમાં આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ તો નથી ને. અત્યાર સુધી CBIએ ક્રાઇમ સીનને રી-ક્રિએટ કર્યો, મુંબઈ પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવેલા પુરાવાઓની કરી અને કેસમાં સંદિગ્ધ તમામ લોકોની પૂછપરછ કરી છે.
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં AIMSની ફોરેન્સિક ટીમની તપાસને ખૂબ અગત્યની માનવામાં આવે છે. તેમાં અભિનેતાના પોસ્ટમોર્ટમ અને ઓટોપ્સીના રિપોર્ટ્સ પણ સામેલ છે.
આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક થઈ અંકિતા લોખંડે, કહ્યું આ....
આ દરમિયાન નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) પણ આ કેસમાં ડ્રગ એંગલથી તપાસ કરી રહી છે. એક રિપોર્ટ મુજબ, રિયાના ભાઈ શૈવિક ચક્રવર્તી અને એક ડ્રગ સપ્લાયરની વચ્ચે થયેલી વોટ્સએપ ચેટથી જાણવા મળ્યું છે કે, શૌવિકે પોતાના પિતા માટે કેટલીક ડ્રગ મંગાવી હતી. કથિત રીતે ચેટથી જાણવા મળે છે કે, ઈન્દ્રજીતને પોતાના બાળકોની આદતો વિશે જાણ હતી. ત્યાં સુધી કે ઈન્દ્રજીત પોતે પણ ડ્રગ લેતા હતાં. CBIએ રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીને ખાસ આ ચેટ વિશે પૂછ્યું હતું.