14 May, 2022 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલ
‘પૃથ્વીરાજ’માં સેલેબલ હીરો લેવાની ઇચ્છા હોવાથી યશરાજ ફિલ્મ્સે સની દેઓલને પડતો મૂકીને અક્ષયકુમારને લીધો હતો. ૩ જૂને રિલીઝ થનારી આ ફિલ્મને ડૉક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે. અક્ષયકુમારની સાથે આ ફિલ્મમાં માનુષી છિલ્લર, સોનુ સૂદ અને સંજય દત્ત લીડ રોલમાં દેખાશે. એવું જાણવા મળ્યું છે કે આ ફિલ્મ માટે ડૉક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિવેદીની પહેલી પસંદ સની દેઓલ હતો. પાંચ વર્ષ અગાઉ જ્યારે વારાણસીમાં ‘મોહલ્લા અસ્સી’નું શૂટિંગ ચાલતું હતું એ વખતે સની દેઓલ સાથે ચન્દ્રપ્રકાશની ‘પૃથ્વીરાજ’ને લઈને ખાસ્સી એવી ચર્ચા થઈ હતી. એ દરમ્યાન બન્ને વચ્ચે અનેક મુદ્દાઓ જેવા કે ફિલ્મ, કૅરૅક્ટર, ફાઇનલ લુક, ઉચ્ચારણ અને રીતભાત વિશે ચર્ચા થઈ હતી. આટલી હદે તૈયારી થઈ હઈ હોવા છતાં પણ સની દેઓલને આ ફિલ્મમાંથી હટાવવામાં આવ્યો, કેમ કે ફિલ્મમાં યશરાજ ફિલ્મ્સની એન્ટ્રી થઈ હતી. એથી આખી બાજી પલટી ગઈ એમ કહી શકાય. યશરાજ ફિલ્મ્સનો આદેશ હતો કે તેમને સની દેઓલ નહીં પરંતુ સેલેબલ હીરો જોઈતો હતો. આ જ કારણ છે કે સની દેઓલને બદલે અક્ષયકુમાર આ ફિલ્મમાં ‘પૃથ્વીરાજ’ બન્યો છે.