27 July, 2026 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ શેટ્ટી
બૉલીવુડમાં ‘અન્ના’ તરીકે ઓળખાતો સુનીલ શેટ્ટી ક્રિકેટનો જબરો ચાહક છે. હવે તેણે IPLને લઈને એક રસપ્રદ ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું છે કે ઇચ્છા હોવા છતાં તે ક્યારેય IPL ટીમનો માલિક બની શક્યો નહોતો.
હાલમાં સુનીલ શેટ્ટીએ ૨૦૦૮માં શરૂ થયેલી IPLની પ્રથમ સીઝનને યાદ કરતાં જણાવ્યું કે એ સમયે તે પણ એક IPL ટીમ ખરીદવા માગતો હતો, પણ પૂરતું આર્થિક સમર્થન ન મળતાં તેનું સપનું અધૂરું રહી ગયું. પોતાના આ સપના વિશે વાત કરતાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે ‘જો એ સમયે કોઈએ મારો સાથ આપ્યો હોત તો હું પણ IPL ટીમ ખરીદી શક્યો હોત. આજે ઘણા ફંડર્સ અને રોકાણકારો તમારી સાથે રોકાણ કરવા માટે તૈયાર હોય છે, પણ ત્યારે એવી સ્થિતિ નહોતી. અમે એટલી મોટી રકમ ખર્ચવાનું વિચારી પણ શકતા નહોતા. જો મને એ સમયે નાણાકીય સપોર્ટ મળ્યો હોત તો હું નિશ્ચિતપણે IPL ફ્રૅન્ચાઇઝીમાં રોકાણ કરત. એ સમયે શાહરુખ યોગ્ય સમયે યોગ્ય લોકો સાથે હતો. તેણે જીવનમાં જે પણ કર્યું છે એ ખૂબ જ શાનદાર રીતે કર્યું છે.’