26 April, 2025 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિંગર શ્રેયા ઘોષાલ
બાવીસમી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સિંગર શ્રેયા ઘોષાલે આજે સુરતમાં યોજાનારી પોતાની કૉન્સર્ટ કૅન્સલ કરી હોવાની જાહેરાત કરી છે. આ કૉન્સર્ટ આજે સાંજે ૭થી ૧૦ વાગ્યા સુધી સુરતના પંડિત દીનદયાલ ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાવાની હતી. શ્રેયાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું હતું કે ‘હાલમાં બનેલી દુખદ ઘટનાઓને ધ્યાનમાં રાખીને આયોજકો અને કલાકારોએ મળીને આજે સુરતમાં યોજાનારો આગામી શો રદ કરવાનો નિર્ણય લીધો છે. આ શોમાં ટિકિટ લેનાર તમામ વ્યક્તિઓને રીફન્ડ આપવામાં આવશે અને રકમની જે રીતે ચુકવણી કરવામાં આવી હશે એ જ મોડમાં રિટર્ન કરવામાં આવશે. આ વિશે વધારે પૂછપરછ કરવા માટે events@district.inનો સંપર્ક કરો.’
હાલમાં સિંગર અરિજિત સિંહે પણ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને આવતી કાલે ચેન્નઈમાં યોજાનારી પોતાની કૉન્સર્ટ રદ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે આ કપરા કાળમાં પીડિતો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે આ પગલું ભર્યું છે.