24 June, 2022 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય દત્ત
સંજય દત્તને વિલન બનવાનું હંમેશાંથી પસંદ છે. તે રણબીર કપૂર અને વાણી કપૂર સાથેની ‘શમશેરા’માં વિલનના રોલમાં દેખાવાનો છે. આ ફિલ્મમાં તે ક્રૂર દરોગા શુદ્ધ સિંહના રોલમાં દેખાશે. કરણ મલ્હોત્રાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. બાવીસ જુલાઈએ આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. પોતાના નેગેટિવ રોલ વિશે સંજય દત્તે કહ્યું કે ‘મને હંમેશાંથી વિલનનો રોલ ભજવવાનું એક્સાઇટેડ લાગે છે, કારણ કે તેની પાસે નિયમોને તોડવાની અને મરોડવાની તક હોય છે. મને એવો એહસાસ થયો છે કે તમે જ્યારે વિલનનો રોલ કરો છો ત્યારે ફિલ્મની સ્ટોરીમાં રોમાંચક વળાંક લાવો છો. તમે કાગળ પર લખાયેલા પાત્રને પોતાના અભિનયથી સાકાર કરો છો. હું જ્યારે પણ વિલનનું પાત્ર ભજવું છું ત્યારે મને ખૂબ મજા પડે છે. મને એ વાતની ખુશી છે કે લોકોને મારો ખલનાયકનો રોલ ગમે છે. મારું પાત્ર આ ફિલ્મમાં પૂરી રીતે ખતરનાક, ડરામણું, ભરોસાને લાયક નહીં અને લોકોમાં ભય નિર્માણ કરવા માટે કોઈ પણ હદ પાર કરવા તૈયાર છે. કરણ મલ્હોત્રાએ આવો વિલન તૈયાર કર્યો એ મને ગમ્યું અને તેણે આ રોલ માટે મારો વિચાર કર્યો. તેણે મને શુદ્ધ સિંહને પોતાની મરજી પ્રમાણે સાકાર કરવા માટેની પણ આઝાદી આપી હતી. આશા છે કે લોકોને પણ મારો રોલ ગમશે.’