12 February, 2025 06:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સલમાન ખાન તાજેતરમાં ભત્રીજા અરહાન ખાનના પૉડકાસ્ટ શો ‘ડંબ બિરયાની’માં આવ્યો હતો. મલાઇકા અરોરા અને અરબાઝ ખાનના દીકરા અરહાન ખાને ૨૦૨૪માં પોતાનો પૉડકાસ્ટ શો શરૂ કર્યો હતો અને હવે એમાં ગેસ્ટ તરીકે સલમાન ખાને હાજરી આપી છે. આ શોમાં સલમાને તેના અંગત જીવનને સ્પર્શતા મુદ્દાઓ વિશે વાતચીત કરી હતી. આ પૉડકાસ્ટમાં સલમાને ખુલાસો કર્યો હતો કે જ્યારે મારી પાસે કરવા માટે કોઈ કામ નથી હોતું ત્યારે હું ઊંઘવાનું પસંદ કરું છું અને દિવસમાં માત્ર બે કલાક જ સૂવાનું પસંદ કરું છું.
પોતાના આ રૂટીન વિશે વાત કરતાં સલમાને કહ્યું છે કે ‘હું સામાન્ય રીતે રોજ બે કલાક જેટલી જ નીંદર કરું છું. હા, મહિનામાં એકાદ વખત હું સાત-આઠ કલાકની નીંદર કરી લઉં છું. ક્યારેક હું શૉટ્સ વચ્ચેના બ્રેકમાં થોડી નીંદર મારી લઉં છું. હું ત્યારે જ સૂવાનું પસંદ કરું છું જ્યારે મારી પાસે કરવા માટે કાંઈ કામ નથી હોતું. હા, હું જ્યારે જેલમાં હતો ત્યારે સારી રીતે સૂઈ જતો હતો અથવા તો ફ્લાઇટમાં પ્રવાસ કરી રહ્યો હોઉં ત્યારે પ્રૉપર ઊંઘ કરી લેતો, કારણ કે મારી પાસે ત્યારે કરવા જેવું ખાસ કાંઈ હોતું નથી.’
સલમાન અત્યારે ફિલ્મ ‘સિકંદર’ના શૂટિંગમાં વ્યસ્ત છે અને એના ડિરેક્શનની જવાબદારી એ. આર. મુરુગાદોસ સંભાળી રહ્યા છે. સલમાન હાલના તબક્કે પણ કામમાં વ્યસ્ત છે ત્યારે તેણે સફળતાને કઈ રીતે હૅન્ડલ કરવી જોઈએ એ વિશે પણ વાત કરી છે. સલમાને કહ્યું કે ‘સફળતા મેળવવા માટે આકરી મહેનત કરો. જ્યારે સફળતા મળી જાય ત્યારે એનું શ્રેય એ તમામ લોકો સાથે શૅર કરો જેમણે તમને સફળતા સુધી પહોંચવામાં મદદ કરી છે. તમારી નિષ્ફળતાની જવાબદારી તમારી પોતાની છે, પણ તમારી સફળતા તમારા એકલાની નથી. જો તમારા મગજમાં સફળતાની રાઈ ભરાઈ જાય તો તમારી બરબાદી નક્કી છે.’
સલમાને ચર્ચા કરી મલાઇકા-અરબાઝના ડિવૉર્સની
સલમાન સામાન્ય રીતે જાહેરમાં ભાઈ અરબાઝ ખાન અને મલાઇકા અરોરાના ડિવૉર્સની ચર્ચા કરવાનું ટાળતો હોય છે. અરબાઝ અને મલાઇકાએ ૧૯૯૮માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૦૨માં અરહાનનો જન્મ થયો હતો. જોકે બન્નેએ ૨૦૧૭માં અલગ થઈ જવાનું પસંદ કર્યું હતું. ભત્રીજા અરહાન ખાનના પૉડકાસ્ટ શો ‘ડંબ બિરયાની’માં સલમાને ભાઈ અરબાઝ અને મલાઇકાના સેપરેશન વિશે વાત કરી છે. સલમાને વાતચીત દરમ્યાન અરહાનને સલાહ આપતાં કહ્યું છે કે ‘મને ખબર છે કે તારાં માતા-પિતાના ડિવૉર્સ પછી તારા જીવનમાં બહુ ફેરફાર આવ્યો છે. હવે આમાંથી તારે રસ્તો બનાવવાનો છે. એક દિવસ તારો પોતાનો પરિવાર હશે અને તારે તારો પરિવાર બનાવવાના પ્રયાસ કરવાના છે. પરિવાર સાથે બેસીને લંચ અને ડિનર કરવાની સંસ્કૃતિ જળવાઈ રહેવી જોઈએ તેમ જ પરિવારના વડાનું હંમેશાં માન જાળવવું જોઈએ.’