18 August, 2019 08:34 AM IST | મુંબઈ | વેબ -શો રિવ્યુ સેક્રેડ ગેમ્સ 2 - હર્ષ દેસાઈ
સેક્રેડ ગેમ્સ 2
‘કભી કભી લગતા હૈ અપુન હી ભગવાન હૈ’ આ ડાયલૉગ પહેલી સીઝનમાં ખૂબ જ ફેમસ થયો હતો અને હવે એની બીજી સીઝન આવી ગઈ છે. પંદરમી ઑગસ્ટે ‘નેટફ્લિક્સ’ પર ‘સેક્રેડ ગેમ્સ’ની બીજી સીઝન રજૂ કરવામાં આવી છે. પહેલી સીઝનના તમામ પ્લસ પૉઇન્ટ આ સીઝનમાં પણ જોવા મળશે. જોકે આ સીઝનને પહેલાં કરતાં વધુ ગ્રૅન્ડ લેવલ પર બનાવવામાં આવી છે અને સ્ટાઇલિશ પણ.
પહેલી સીઝન કરતાં બીજી સીઝન ખૂબ જ પાવરફુલ છે. જોકે આ સીઝનમાં પાવર ફક્ત એક જ વ્યક્તિ પાસે નથી. તમામ પાત્રોને ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવ્યાં છે. દરેક પાત્રને એક-એકથી ચડિયાતાં બનાવવામાં આવ્યાં છે. આ સિરીઝમાં દર્શકો સ્ટોરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત વહેતી જોઈ શકશે તેમ જ સ્ટોરીમાં પાવર એક પાત્રથી બીજા પાત્ર પાસે જતાં સ્ટોરી તમને જકડી રાખે છે. પહેલી સીઝનમાં નવાઝુદ્દીન સિદ્દીકી (અન્ડરવર્લ્ડનો ડૉન ગણેશ ગાયતોંડે) સર્વેસર્વા હતો અને સૈફ અલી ખાન (ઇન્સ્પેક્ટર સરતાજ સિંહ) મુંબઈને બચાવી રહ્યો છે. આ શોમાં બે સ્ટોરીલાઇન છે, એક ગણેશ ગાયતોંડે અને બીજી સરતાજ સિંહની. પહેલી સીઝનના અંતમાં ગણેશ જેલ તોડીને ભાગી જાય છે અને સરતાજ મુંબઈને બૉમ્બ-બ્લાસ્ટથી બચાવવાની હોડમાં છે. બીજી સીઝનની શરૂઆતમાં સરતાજ પાસે મુંબઈને બચાવવા માટે ફક્ત ૧૨ દિવસ હોય છે અને ગણેશ દરિયા વચ્ચે એક બોટમાં હોય છે. મુંબઈમાં તેનું રાજ પૂરું થઈ ગયું હોય છે અને રૉ એજન્ટ કુસુમ (અમૃતા સુભાષ) તેને બચાવી કેન્યા લઈ જાય છે. ગણેશની મદદથી કુસુમ ભારતને આતંકવાદીઓથી દૂર રાખવા માગતી હોય છે. ગણેશ કેન્યામાં પોતાનું એમ્પાયર ઊભું કરે છે, પરંતુ તેને એ અધૂરું લાગે છે. તેની પાસે પાવર હોવા છતાં તે કુસુમના કહેવા અનુસાર કામ કરે છે. બીજી તરફ ઇન્ડિયા અને ખાસ કરીને મુંબઈને ન્યુક્લિયર બૉમ્બથી બચાવવા માટે સરતાજ એક પછી એક ગુથ્થી સુલઝાવતો જાય છે અને ધીમે-ધીમે તે ટેરરિસ્ટની નજીક પહોંચતો જાય છે.
પહેલી સીઝનમાં જે સવાલ હતા એ આ સીઝનમાં પૂરા કરવામાં આવ્યા છે. ગણેશ ગાયતોંડેની સ્ટોરીને અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરી છે અને સરતાજ સિંહની નીરજ ઘાયવાને. પહેલી સીઝનમાં સરતાજની સ્ટોરીને વિક્રમાદિત્ય મોટવાણેએ ડિરેક્ટ કરી હતી. જોકે આ ડોર નીરજ ઘાયવાનના હાથમાં આવતાં ડિરેક્શનમાં પણ બદલાવ જોઈ શકાય છે. સરતાજ સિંહની સ્ટોરીલાઇન તમને સતત દોડતી હોય એવું લાગશે. દરેક ફ્રેમ સ્થિર હોય એવું ભાગ્યે જ જોવા મળશે. બીજી તરફ અનુરાગ કશ્યપનો જાદુ પણ યથાવત્ છે. તે તેના પૉલિટિકલ સ્ટેટમેન્ટ માટે જાણીતો છે અને આ સીઝનમાં પણ એ જોવા મળશે. સ્ટોરીની ટાઇમલાઇન પ્રમાણે તેણે ઘણી પૉલિટિકલ કમેન્ટ કરી છે. ઇન્દિરા ગાંધીના ઇમર્જન્સીના સમયથી લઈને ટોળામાં ચોક્કસ સમુદાયના વ્યક્તિને મારી નાખવામાં આવે છે એની વાત પણ કરવામાં આવી છે. રણવીર શૌરી આ શોમાં આતંકવાદી શાહિદ ખાનનું પાત્ર ભજવી રહ્યો છે. એક દૃશ્યમાં તે બોલે છે કે ‘આ બૉમ્બ તમે આજે જોઈ રહ્યા છો, પરંતુ એનાં બીજ ૧૯૪૭માં રોપાયાં હતાં. એનું પ્લાનિંગ છેલ્લાં ૭૦ વર્ષથી ચાલી રહ્યું છે.’ આમ, અન્ડરવર્લ્ડ અને પોલીસની સ્ટોરીને ખૂબ સારી રીતે દેખાડવામાં આવી છે અને અનુરાગે કોઈ પણ સ્ટેટમેન્ટ આપવામાં કસર નથી છોડી.
આ પણ વાંચોઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....
પહેલી સીઝનની જાન ગણેશ ગાયતોંડે હતો, પરંતુ બીજી સીઝનમાં તેની સાથે ઘણા નવા ઍક્ટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીઝનની ડોર ગણેશ, સરતાજ, રણવીર શૌરી, પંકજ ત્રિપાઠી અને કલ્કિ કોચલિન પર છે. ગણેશ ગાયતોંડેને આ સીઝનમાં પાવરફુલની સાથે મજબૂર અને અસહાય પણ દેખાડવામાં આવ્યો છે. ભગવાનથી લઈને ગુરુજીના મજૂરથી લઈને અશ્વત્થામા સુધીની તેની મુસાફરીને ખૂબ સારી રીતે દેખાડવામાં આવી છે. સરતાજ સિંહનું ઇનોસન્સ યથાવત્ છે. પંકજ િત્રપાઠીએ આ શોમાં ગુરુજીનું પાત્ર ભજવ્યું છે. પહેલી સીઝનમાં ગણેશ ગાયતોંડે સૌથી મોટો ગુંડો હોય છે, પરંતુ ખરેખર ગુંડો તો ગુરુજી હોય છે. લોકોને કલયુગમાંથી સતયુગમાં લાવવા માટે તેમને મોતને ઘાટ ઉતારવાનો પ્રોજેક્ટ ગુરુજીનો હોય છે. તેઓ આ માટે ‘કાલગ્રંથ’ લખે છે જેમાં કેવી રીતે નાશ કરવો અને કેવી રીતે નાશ થતો અટકાવવો બન્નેની માહિતી હોય છે. ગુરુજીના પ્રવચનમાં અંગ્રેજી અને હિન્દી બન્નેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે જ્યારે પણ કોઈ ડાયલૉગ બોલે છે ત્યારે સાચે જ કોઈ ગુરુજી બોલતો હોય એવો અહેસાસ થાય છે. તેના ચહેરા પરની સ્માઇલને જોઈને કોઈ પણ તેમનામાં ભોળવાઈ જાય છે. કલ્કિ આ શોમાં બત્યાનું પાત્ર ભજવી રહી છે, જે ગુરુજીની અનુયાયી હોય અને આંધળી રીતે તેમને ફૉલો કરતી હોય છે. બત્યા જે રીતે તેમને ફૉલો કરે છે, જે રીતે બોલે, તેની કામનેસ અને ડાયલૉગ-ડિલિવરી ખૂબ અદ્ભુત છે. જોજો એટલે કે સુરવિન ચાવલા પણ આ શોમાં ખૂબ જ મહત્ત્વના રોલમાં છે. તેને ગણેશ ગાયતોંડે કેમ મારે છે એનો સવાલ પણ બીજી સીઝનમાં આપવામાં આવ્યો છે. રણવીર શૌરીએ આ શોમાં નાનું, પરંતુ ખૂબ જ મહત્ત્વનું પાત્ર ભજવ્યું છે.
ઍક્ટિંગ, ડિરેક્શન અને સ્ટોરીને કારણે આ શો નેટફ્લિક્સ માટેનો ઇન્ડિયાનો અત્યાર સુધીનો બેસ્ટ શો કહીં શકાય. દર્શકોએ આ શોમાં પહેલી સીઝન કરતાં વધુ ધ્યાન આપવું પડશે, કારણ કે શોની ટાઇમલાઇન ખૂબ જ મહત્ત્વની છે. ૧૯૪૭થી લઈને અત્યાર સુધીના સમયની આ ટાઇમલાઇન ખૂબ જ મહત્ત્વની કડી છે અને આ ટાઇમલાઇનમાં દરેક પાત્રના સબ-પ્લૉટને પણ દેખાડવામાં આવ્યો છે. આ સાથે જ વચ્ચે વચ્ચે ઘણા ડાયલૉગ મરાઠીમાં પણ છે. આથી સબ-ટાઇટલ ઑન રાખવા જરૂરી બને છે.
‘સેક્રેડ ગેમ્સ ૨’ના છેલ્લા એપિસોડમાં ન્યુક્લિયર બૉમ્બને આઇપૅડ પર પૅટર્નની મદદથી ડિઍક્ટિવેટ કરવાનું હોય છે. જો એ પાંચ વાર નિષ્ફળ રહે તો બૉમ્બને ડિઍક્ટિવેટ કરવાનું નામુમકિન બની જાય છે. બૉમ્બ ડિફ્યુઝ કરવા માટેની ટીમ બે વાર કોશિશ કરી ચૂકી હોય છે, પરંતુ તેઓ નિષ્ફળ રહે છે. આથી તેઓ જેમ બને એમ બૉમ્બથી દૂર હેલિકૉપ્ટરમાં બેસીને જતા રહેવા માગે છે. જોકે સરતાજ એ ત્રણ કોશિશ પૂરી કરવા માગે છે. ‘કાલગ્રંથ’માં આપેલી ત્રિવેદી અને બત્યાની પૅટર્નનો ઉપયોગ કરે છે, પરંતુ તે નિષ્ફળ રહે છે. હવે તેની પાસે ગણેશ ગાયતોંડે અને તેના પિતા દિલબાગ સિંહની પૅટર્ન હોય છે, પરંતુ એક જ કોશિશ બચે છે. તે દિલબાગ સિંહની પૅટર્નનો ઉપયોગ કરે છે અને અહીં શોનો અંત થાય છે. પહેલી સીઝનમાં ગણેશ ગાયતોંડે સાથે શું થાય છે એ સવાલ સાથે શોને છોડવામાં આવ્યો હતો એમ અહીં મુંબઈ સાથે શું થાય છે એ સવાલ સાથે શોને પૂરો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Lopamudra Raut: જાણો કોણ છે આ બિગ-બોસ 10ની હોટેસ્ટ અભિનેત્રી
આ શો આશાવાદી અને નિરાશાવાદી બન્ને પ્રકારના દર્શકો માટે ઉત્તમ છે. શોનો અંત જે રીતે થયો એ બન્ને પ્રકારના દર્શકો માટે સારો છે. આશાવાદી આ અંતથી ખુશ હશે તો નિરાશાવાદી ત્રીજી સીઝનની રાહ જોશે. આથી મેકર્સની બન્ને બાજુ ઘીમાં આંગળી છે.