27 July, 2026 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર
ભગવાન શ્રી રામનો રોલ કરતાં-કરતાં રણબીર કપૂરને થઈ હતી આવી લાગણી
રણબીર કપૂરને ભગવાન રામ તરીકે દર્શાવતી ‘રામાયણ’ની પ્રથમ ઝલકમાં તેના લુકને ફૅન્સ તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. જોકે હવે રણબીરે ખુલાસો કર્યો છે કે આ પાત્ર સ્વીકારતી વખતે તેના મનમાં ઘણો ડર અને શંકા હતી જે પછી ધીમે-ધીમે કૃતજ્ઞતામાં બદલાઈ ગઈ.
અમેરિકાના સૅન ડીએગો કૉમિક-કૉનમાં યોજાયેલા ‘રામાયણ’ના વિશેષ પૅનલ સેશન દરમ્યાન રણબીર કપૂર, યશ, દિગ્દર્શક નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રા હાજર રહ્યા હતા. આ પ્રસંગે રણબીરે ભગવાન શ્રી રામ જેવા મહાન અને પૂજનીય પાત્રને મોટા પડદા પર જીવંત કરવાનો પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે ‘જ્યારે મને આ ફિલ્મની ઑફર મળી ત્યારે મારા મનમાં ઘણો ડર અને ઘણી શંકા હતી. હું સતત વિચારતો હતો કે શું હું આ કરી શકીશ? શું હું આ ભૂમિકા માટે પૂરતો લાયક છું? પણ થોડા જ સમયમાં આ શંકા કૃતજ્ઞતામાં બદલાઈ ગઈ. મને લાગ્યું કે આ તો ભગવાનનો આશીર્વાદ છે, જીવનમાં એક જ વાર મળતી તક છે અને એક નૈતિક જવાબદારી પણ છે. ‘રામાયણ’ આપણા અચેતન મનમાં વસી ગઈ છે. ભગવાન શ્રી રામ હજારો વર્ષોથી દુનિયાભરના લાખો લોકોના અંતરાત્માના માર્ગદર્શક રહ્યા છે. છેલ્લા ૪૦૦૦થી પણ વધુ વર્ષોથી તેઓ માનવજાત માટે પ્રેરણાનું પ્રતીક છે. તેઓ હિંમત, કરુણા, ક્ષમા અને ધર્મના માર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. આવા પાત્રને મોટા પડદા પર રજૂ કરવાની તક મળવી ગૌરવની વાત છે, પણ એની સાથે ખૂબ મોટો પડકાર પણ છે. અમારી આખી ટીમનો માત્ર એક જ ઉદ્દેશ હતો કે ‘રામાયણ’ની કથાને શક્ય તેટલી પ્રામાણિકતા સાથે લોકો સુધી પહોંચાડવી.’
રણબીર કહ્યું કે તે પોતાની દીકરી રાહા કપૂરને ‘રામાયણ’ બતાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે એ મોટા પડદા પર તેની પહેલી ફિલ્મ હશે.