24 September, 2025 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂનમ પાંડે
આ વર્ષે દિલ્હી (Delhi)ના લાલ કિલ્લા (Red Fort) ગ્રાઉન્ડમાં યોજાનાર લવ-કુશ રામલીલામાં રાવણની પત્ની મંદોદરીના રોલ માટે ઍક્ટ્રેસ પૂનમ પાંડે (Poonam Pandey)ની પસંદગી કરવામાં આવતાં આ પસંદગી વિવાદનો મુદ્દો બની છે. રામલીલામાં પૂનમ પાંડે જેવી બોલ્ડ ઇમેજ ધરાવતી ઍક્ટ્રેસની મંદોદરીની ભૂમિકા માટે પસંદગી કરવાના નિર્ણય સામે વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad - VHP)એ આ બાબતે પ્રશ્નો ઊભા કર્યા હતા. ભારે વિરોધ અને આક્રોશ વચ્ચે, રામલીલા મેદાનમાં નાટકનું મંચન કરતી લવ કુશ રામલીલા સમિતિએ વિવાદાસ્પદ અભિનેત્રી પૂનમ પાંડેને શક્તિશાળી રાવણની પત્ની મંદોદરી તરીકે કાસ્ટ કરવાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે.
વિવાદાસ્પદ અભિનેત્રી પૂનમ પાંડેની રામલીલામાં પસંદગીનો વિશ્વ હિન્દુ પરિષદ (VHP) તેમજ લવકુશ રામલીલા સમિતિ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ અને સંતોએ પણ પસંદગીનો વિરોધ કર્યો હતો. આ નિર્ણયથી રામલીલા સમિતિની પ્રતિષ્ઠા પર નકારાત્મક અસર પડી છે. દિલ્હીની કવિભિન રામલીલા સમિતિઓએ પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. લાંબા વિવાદ પછી, અભિનેત્રી પૂનમ પાંડેને દિલ્હીમાં લવ કુશ રામલીલામાંથી દૂર કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ આ દાવો કર્યો છે અને લવ કુશ રામલીલા સમિતિના નિર્ણયનું સ્વાગત કર્યું છે. VHPએ પણ પૂનમ પાંડેને રામલીલા મેદાનમાં આમંત્રણ ન આપવાનો નિર્ણય લીધો છે.
VHP એ એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે, ‘વિશ્વ હિન્દુ પરિષદ, ઇન્દ્રપ્રસ્થ (દિલ્હી) પ્રાંત, લવ કુશ રામલીલા સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે, જેમાં, સમાજ અને પૂજનીય સંતોની લાગણીઓનો આદર કરીને, તેમણે આ વર્ષે રામલીલા પ્રદર્શનમાં શ્રીમતી પૂનમ પાંડેને આમંત્રણ ન આપવાનો નિર્ણય લીધો છે.’
રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ‘સમિતિનો આ નિર્ણય સમાજના સાંસ્કૃતિક ગૌરવ અને ધાર્મિક પરંપરાઓનું રક્ષણ કરવા માટે એક પ્રશંસનીય અને અનુકરણીય પગલું છે. ધર્મ હંમેશા ગૌરવનું રક્ષણ કરે છે અને તે એક સાર્વત્રિક રીતે સ્વીકૃત સત્ય છે કે અશ્લીલતા હંમેશા ગૌરવનું ઉલ્લંઘન કરે છે. તેથી, ગૌરવના મંચ પર અશ્લીલતાને સ્થાન આપવું યોગ્ય નથી.’
VHP પ્રાંતીય મંત્રી સુરેન્દ્ર ગુપ્તાએ કહ્યું, ‘અમારું માનવું છે કે આ વર્ષની લવ કુશ રામલીલા વધુ સફળ, ભવ્ય અને પ્રેરણાદાયક રહેશે.’ પ્રાંતીય મંત્રીએ કહ્યું, ‘વિશ્વ હિન્દુ પરિષદ ઇન્દ્રપ્રસ્થ પ્રાંતીય રામલીલા સમિતિને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.’
નોંધનીય છે કે, ગયા અઠવાડિયાની શરૂઆતમાં, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ રામલીલામાં પૂનમ પાંડેના સમાવેશ સામે વાંધો ઉઠાવ્યો હતો.
નોંધનીય છે કે, લવ કુશ રામલીલા ૨૨ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર સુધી યોજાશે. આ વખતે બોલિવૂડ અભિનેતા આર્ય બબ્બર રાવણની ભૂમિકા ભજવશે. કિંશુક વૈદ્ય રામની ભૂમિકા ભજવશે, રિની આર્ય સીતાની ભૂમિકા ભજવશે અને ભાજપના સાંસદ મનોજ તિવારી પરશુરામની ભૂમિકા ભજવશે.