પરિણીતીએ મને ફરી એક વખત તમાચો માર્યો : અર્જુન કપૂર

17 March, 2021 01:37 PM IST  |  Mumbai | Pratik Ghogare

અર્જુન કપૂરે અને પરિણીતીએ ‘ઇશકઝાદે’માં સાથે કામ કર્યું હતું. એ ફિલ્મમાં પણ પરિણીતીએ અર્જુનને લાફો માર્યો હતો. હવે તેમની ‘સંદીપ ઔર પિન્કી ફરાર’માં પણ અર્જુને પરિણીતીના હાથનો લાફો ખાવો પડ્યો હતો.

અર્જુન કપૂર

અર્જુન કપૂરે જણાવ્યું છે કે તેને પરિણીતી ચોપડાએ ફરી એક વખત તમાચો માર્યો છે. રિયલ લાઇફમાં નહીં, પરંતુ ઑન-સ્ક્રીન. અર્જુન કપૂરે અને પરિણીતીએ ‘ઇશકઝાદે’માં સાથે કામ કર્યું હતું. એ ફિલ્મમાં પણ પરિણીતીએ અર્જુનને લાફો માર્યો હતો. હવે તેમની ‘સંદીપ ઔર પિન્કી ફરાર’માં પણ અર્જુને પરિણીતીના હાથનો લાફો ખાવો પડ્યો હતો. આ ફિલ્મ ૧૯ માર્ચે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ફિલ્મને લઈને અર્જુને કહ્યું હતું કે ‘મહિલાઓ સાથે થતી હિંસાને હું ગંભીરતાથી લઉં છું. હું મહિલાઓની વચ્ચે જ મોટો થયો છું. મારું એવું માનવું છે કે જો તમે કોઈ પાત્ર ભજવતા હો તો તમારે પોતાની જાતમાંથી બહાર આવીને એ કૅરૅક્ટરમાં ઊતરવાનું હોય છે. આ ફિલ્મમાં પિન્કી કદી પણ પરિણીતીના પાત્ર સંદીપ પર હાથ નથી ઉઠાવતો. સ્થિતિને અનુરૂપ ફિલ્મમાં હિંસા દેખાડવામાં આવે છે. એકબીજાને તેઓ મદદ કરે છે અને રક્ષા પણ કરે છે. સંદીપને પિન્કી માટે ચિંતા અને હતાશા હોય છે. તે ક્યારેક રડે છે, મારે છે અને એ દરમ્યાન હું માત્ર પોતાનો બચાવ કરું છું. ‘ઇશકઝાદે’ની જેમ જ આ ફિલ્મમાં પણ મારે પરિણીતીના હાથનો તમાચો ખાવો પડે છે. એ ટ્રેન્ડ સતત ચાલે છે. જોકે એમાં કોઈ દબાણ જેવું નથી, કારણ કે તમે જ્યારે સ્ક્રિપ્ટ વાંચો છો તો તમને કૅરૅક્ટર અને સ્થિતિની જાણ હોય છે. બન્નેની લાઇફમાં ઇમોશનલ ઊથલપાથલ આવે છે. એથી એવું નથી કે હું તેને મારતો હોઉં છું. મને નથી લાગતું કે હું આવું પાત્ર ભજવી શકું છું. આપણે થિયેટર્સને હેલ્પ કરવી જોઈએ. દર્શકો થિયેટર્સમાં પાછા આવે અને ફિલ્મો જોવાનો અદ્ભુત અનુભવ કરે.’

arjun kapoor bollywood news bollywood bollywood gossips parineeti chopra