06 July, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રિયદર્શન અને પરેશ રાવલ (તસવીર: મિડ-ડે)
બૉલિવૂડની સૌથી વધુ ચર્ચાસ્પદ આગામી કૉમેડી ફિલ્મ ‘હેરા ફેરી’ના ત્રીજા ભાગ માટે દર્શકો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યા છે. જોકે આ ફિલ્મના પ્રોડક્શનમાં અનેક વખત મુશ્કેલી આવી છે. શરૂઆતમાં અક્ષય કુમાર ફિલ્મમાં ન હોવાનું જાણવા મળ્યું તે બાદ ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટર કરશે એવી અફવાઓ હતી, અને આ સાથે છેલ્લે પરેશ રાવલે પણ ફિલ્મ છોડવાની જાહેરાત કરી હતી. જોકે આ બધી બાબતોનો ઉકેલ આવ્યો હતો અને પરેશ રાવલે હેરા ફેરી 3 માં પાછા ફરવાની પુષ્ટિ કરી છે. તેઓ ફિલ્મને અગાઉ છોડી ચૂક્યા હતા. અભિનેતાએ ફિલ્મ છોડવાના તેમના અગાઉના નિર્ણય બદલ દિગ્દર્શક પ્રિયદર્શનની માફી માગી. દિગ્દર્શક પ્રિયદર્શને રાવલના પાછા ફરવા અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે રાવલે, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી સાથે, તેમના મતભેદો દૂર કર્યા છે અને હવે ફરી એકવાર સાથે કામ કરવા તૈયાર છે.
મિડ-ડે સાથેની એક મુલાકાતમાં, પ્રિયદર્શને શૅર કર્યું કે ઍકટર પરેશ રાવલે ફિલ્મ છોડવા બદલ માફી માગવા માટે તેમનો સંપર્ક કર્યો હતો. પ્રિયદર્શને ઉમેર્યું, "આ ત્રિપુટીએ દર્શકોના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે, અને તેમના વગર ‘હેરા ફેરી’ ફિલ્મની કલ્પના કરવી મુશ્કેલ છે. હવે, બધું જ ગોઠવાઈ ગયું છે, તેઓ ફરીથી સાથે કામ કરવા માટે તૈયાર છે, અને ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં ફરી શરૂ થશે."
પ્રિયદર્શને આગળ સમજાવ્યું કે પરેશ રાવલે તેમને કહ્યું હતું કે, "મને ફિલ્મ છોડવાનો અફસોસ છે. મારા નિર્ણય પાછળ કેટલાક અંગત કારણો હતા, પરંતુ મને તમારા માટે ખૂબ માન છે, અને અમે 26 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.” હેરા ફેરી ફિલ્મ સિરીઝમાં પરેશ રાવલે બાબુરાવનું પાત્ર ભજવ્યું છે, જેણે ચાહકો પર કાયમી અસર પાડી છે, જેથી દર્શકો ફિલ્મના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
પ્રિયદર્શને ઉમેર્યું કે તાજેતરમાં જ, એક ચાહક તેમને ફ્લાઇટમાં મળ્યો હતો અને પરેશ રાવલને ફિલ્મમાં પાછા લાવવાનો આગ્રહ રાખ્યો હતો, અને એમ પણ કહ્યું હતું કે જો રાવલ તેનો ભાગ ન હોય તો તેઓ ફિલ્મ જોશે નહીં. હવે જ્યારે સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે, ત્યારે સ્ક્રિપ્ટ પર કામ ટૂંક સમયમાં શરૂ થશે. એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે મે મહિનામાં રાવલે હેરા ફેરી 3 માંથી પાછા ફરવાની જાહેરાત કરી ત્યારે ચાહકો નિરાશ થયા હતા, પરંતુ હવે તેઓ ફિલ્મમાં પાછા ફરવાની વાત જાણીને રોમાંચિત છે.