19 November, 2022 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અટલ બિહારી વાજપેયીના પાત્રને ઑન-સ્ક્રીન સાકાર કરશે પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠી દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના પાત્રને તેમની બાયોપિકમાં સાકાર કરશે. આ ફિલ્મને રવિ જાધવ ડિરેક્ટ કરશે, જેને ત્રણ વખત નૅશનલ અવૉર્ડ મળ્યા છે. ફિલ્મને સંદીપ સિંહ, વિનોદ ભાનુશાલી, કમલેશ ભાનુશાલી અને સૅમ ખાન મળીને પ્રોડ્યુસ કરશે. આવતા વર્ષે ક્રિસમસ દરમ્યાન આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. અટલ બિહારી વાજપેયીના રોલને ભજવવા વિશે પંકજ િત્રપાઠીએ કહ્યું કે ‘એક દયાળુ નેતાનું પાત્ર ઑન-સ્ક્રીન ભજવવાની તક મળવી એ મારા માટે સન્માનની વાત છે. તેઓ માત્ર એક નેતા નહોતા, પરંતુ એનાથી પણ વિશેષ હતા. તેઓ શ્રેષ્ઠ લેખક અને જાણીતા કવિ હતા. તેમના પાત્રને ભજવવું ઍક્ટર તરીકે મારા માટે ગૌરવ લેવા જેવી બાબત છે.’ ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પંકજ િત્રપાઠીએ કૅપ્શન આપી હતી, ‘ભારત એક જમીનનો ટુકડો નથી, પરંતુ જીવંત રાષ્ટ્રપુરુષ છે.’ આ પંક્તિઓ લખનારા મહાન નેતા શ્રી અટલ બિહારી વાજપેયીની ભૂમિકા મને મોટા પરદા પર સાકાર કરવાની તક મળી છે એ મારા માટે સૌભાગ્યની વાત છે.’