05 July, 2020 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
આજે વ્યાસ પુજા પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાં છે. આજના દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હોવાથી વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ગુરુ પૂર્ણિમાના અવસરે વિદ્યાર્થીઓ ગુરુને યાદ કરીને શુભેચ્છા આપે છે. બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ આજે તેમના ગુરુને યાદ કરીને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા આપી છે. બીગ બીના ગુરુ બીજું કોઈ નહીં પણ પિતા હરિવંશ રાય બચ્ચન છે.
અમિતાભ બચ્ચને પિતા હરિવંશ રાય બચ્ચન સાથેની જુની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી છે અને કૅપ્શનમાં કબીરદાસની પંક્તિ લખી છે. જેનો અર્થ સમજાવતા તેમણે લખ્યું છે કે, ગુરુપૂર્ણિમાના શુભ અવસર પર, ચરણ સ્પર્શ, નમન, આપણા ગુરુ દેવ ગુરુ પરમ...પરમ પૂજ્ય પિતા જી. કબીરદાસે સત્ય કહ્યું છે કે, જો ભગવાન નારાજ થઇ જાય તો ગુરુનો સહારો રહે છે પરંતુ ગુરુ નારાજ થાય ત્યારે કોઈ સહારો રહેતો નથી, કોઈ રસ્તો બચતો નથી. ગુરુ વિના જ્ઞાન નથી, ગુરુ વિના સંસ્કૃતિ નથી. સંસ્કૃતિ વગર સંસ્કાર નથી, સંસ્કાર વગર આચરણ નથી. આચરણ વગર આદર નથી, આદર વગર મનુષ્યતા નથી. ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર બધાને હાર્દિક શુભકામનાઓ. આજે ગુરુ પૂર્ણિમા પર મારા ગુરુજીના ચરણોમાં પણ કોટી કોટી નમન.
બીગ બીએ ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા આપતી અન્ય એક પોસ્ટ પણ કરી છે. જેમાં લખ્યું છે કે, ગુરુ પૂર્ણિમાની શુભકામના એ દરેકને જેમણે જિંદગીના પાઠ શીખવ્યા, માતા અને પિતા.
અમિતાભ બચ્ચનની પોસ્ટ પર અનુપમ ખેર, ભૂમિ પેડનેકર, આહના કુમરા સહિત અનેક સેલેબ્સે અમિતાભ બચ્ચનને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા આપી છે.