22 May, 2022 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષયકુમાર
અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ ૩ જૂને રિલીઝ થવાની છે અને એ સાથે જ ‘મેજર’ અને ‘વિક્રમ’ પણ રિલીઝ થઈ રહી છે. એવામાં ફિલ્મોના આ ક્લૅશ પર તેનું કહેવું છે કે કોઈ ફિલ્મોની રિલીઝને અટકાવી ન શકાય. ‘પૃથ્વીરાજ’ મહાન સમ્રાટ પૃથ્વીરાજના શૌર્યની ગાથા દેખાડશે. તો અદિવી સેશની ‘મેજર’ મુંબઈ પર ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલામાં લોકોના જીવ બચાવનાર મેજર સંદીપની બહાદુરી પર આધારિત છે. કમલ હાસનની ‘વિક્રમ’ ઍક્શન-થ્રિલર છે. એવામાં બૉક્સ-ઑફિસ પર થનારા ક્લૅશ પર અક્ષયકુમારે કહ્યું કે ‘બધી ફિલ્મો રિલીઝ થાય છે એ સારી વાત છે. આશા છે કે તમામ ફિલ્મો સારો બિઝનેસ કરે. કોઈની ફિલ્મ રિલીઝ થતી અટકાવી ન શકાય. આશા છે કે બધી ફિલ્મોનો સારો બિઝનેસ થાય, કેમ કે બધાનો બિઝનેસ કનેક્ટેડ છે. એકબીજા વગર અસ્તિત્વ જ નથી. એકબીજાની જરૂર નથી એ કહેવું ખોટું છે. તેમના વગર તો હું પણ ન રહી શકું અને તેઓ આપણા વગર ન રહી શકે. હું હંમેશાં કહેતો આવ્યો છું કે આપણે સંપ રાખીને રહેવું જોઈએ, પરંતુ બદ્નસીબે આવું થતું નથી. આપણે હંમેશાં વિભાજન વિશે બોલીએ છીએ. કોઈ એકતા વિશે ચર્ચા નથી કરતું, પરંતુ આશા છે કે આપણે એ પણ શીખી લઈશું.’