21 July, 2026 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા માત્ર બૉલીવુડમાં જ નહીં પણ હૉલીવુડમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી ચૂકી છે. શનિવારે પ્રિયંકાની ૪૪મી વર્ષગાંઠ હતી અને તેણે આ દિવસ પોતાના પતિ નિક જોનસ સાથે સ્પેનમાં સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ પ્રસંગે તેના પતિ નિકે સોશ્યલ મીડિયા પર એક ખાસ વિડિયો શૅર કર્યો છે. આ વિડિયો સાથે નિકે સ્પૅનિશ ભાષામાં લખ્યું છે. ‘હૅપી બર્થ-ડે, માય લવ.’ નિકે શૅર કરેલા વિડિયોમાં બન્ને સ્પેનમાં યૉટ પર બેઠેલાં જોવા મળે છે. નિક પોતાના ફોનથી પ્રિયંકાનો વિડિયો બનાવી રહ્યો છે. વિડિયોમાં પ્રિયંકા બિકિનીમાં જોવા મળે છે, જેને તેણે કવર કરી રાખી છે. તેણે સનગ્લાસિસ પહેર્યા છે અને માથા પર બૅન્ડના બાંધ્યો છે, જે તેના સમગ્ર લુકને વધુ ગ્લૅમરસ બનાવે છે. વિડિયોમાં પ્રિયંકા ખૂબ જ રિલૅક્સ મૂડમાં જોવા મળે છે. તે નિકને પ્રેમથી ફ્લાઇંગ કિસ આપતી પણ નજરે પડે છે.
સલમાન ખાનના લેટેસ્ટ લુકને જોઈને તે બીમાર હોવાની ચર્ચા ચાલી છે ત્યારે તેણે સોશ્યલ મીડિયા પર આવો સામો સવાલ પૂછ્યો
સલમાન ખાને રવિવારે મોડી રાત્રે એક પોસ્ટ કરી હતી જે બહુ ઝડપથી ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. સલમાને સોશ્યલ મીડિયા પર તેની કેટલીક બ્લૅક ઍન્ડ વાઇટ તસવીરો શૅર કરી છે જેમાં તે હૅટ પહેરીને અલગ અંદાજમાં પોઝ આપતો જોવા મળે છે. જોકે લોકોનું ધ્યાન તસવીરો કરતાં એની કૅપ્શન પર ગયું હતું. સલમાને આ તસવીરોની કૅપ્શનમાં લખ્યું હતું કે ‘આપ લોગોં કી તબિયત કૈસી હૈ?’ હકીકતમાં તાજેતરમાં સલમાનનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો જેમાં તેનો નવો લુક જોઈને ઘણા ચાહકોએ તેની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. હવે સલમાનની લેટેસ્ટ પોસ્ટને લોકો આ તમામ ચર્ચાનો જવાબ માની રહ્યા છે. જોકે સલમાને આ સમગ્ર મામલે કોઈ સીધી પ્રતિક્રિયા આપી નથી.
જૉન એબ્રાહમે બાંદરા-વેસ્ટમાં આવેલા સેન્ટ માર્ટિન રોડના પ્રીમિયમ વિસ્તારમાં અંદાજે ૮૪ કરોડ રૂપિયાનો ફ્રીહોલ્ડ બંગલો ખરીદ્યો હોવાના રિપોર્ટ છે. આ વિસ્તાર મુંબઈના સૌથી પ્રતિષ્ઠિત વિસ્તારોમાંનો એક છે અને અહીં અનેક જાણીતી સેલિબ્રિટીઓની પ્રૉપર્ટી પણ આવેલી છે. જૉનનો આ નવો બંગલો ૧૦૧૭.૬૦ સ્ક્વેર મીટરના પ્લૉટ પર આવેલો છે. એમાં ૧૯૩.૧૨ સ્ક્વેર મીટરનો બિલ્ટ-અપ એરિયા ધરાવતો બંગલો તેમ જ ૩૧.૫૦ સ્ક્વેર મીટરનું આઉટહાઉસ પણ સામેલ છે. જૉન હાલમાં બાંદરામાં દરિયા સામે આવેલા પોતાના સી-ફેસિંગ ડુપ્લેક્સ પેન્ટહાઉસમાં રહે છે, જેની અંદાજિત કિંમત લગભગ ૬૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
યશે ‘રામાયણ’ની ઇવેન્ટમાં રકુલ પ્રીત સિંહનાં ભરપૂર વખાણ કર્યાં
રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ને આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે. આશરે ૪૦૦૦ કરોડ રૂપિયાના અંદાજિત બજેટમાં બની રહેલી આ ફિલ્મને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં યોજાયેલી ઇવેન્ટમાં ફિલ્મની સ્ટારકાસ્ટ અને સમગ્ર ટીમ હાજર રહી હતી. આ દરમ્યાન ફિલ્મમાં રાવણનો રોલ કરનાર સાઉથના સુપરસ્ટાર યશે ‘શૂર્પણખા’નો રોલ કરનાર રકુલ પ્રીત સિંહના અભિનયનાં ભરપૂર વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે રકુલે ફિલ્મમાં શૂર્પણખાનો રોલ જીવંત કરી દીધો છે. યશે દાવો કર્યો હતો કે શૂર્પણખાનું પાત્ર ફિલ્મનાં સૌથી મજબૂત પાત્રોમાંથી એક છે અને એને ઊંડાણ, વિશ્વસનીયતા, તીવ્રતા અને લાગણીસભર અંદાજ સાથે રજૂ કરવામાં આવ્યું છે.