પતિ રિશી કપૂરના અંતિમ દિવસોમાં તેમની સ્થિતિને વર્ણવીને ઇમોશનલ થયાં નીતુ કપૂર

09 May, 2022 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમના અંતિમ દિવસોમાં નીતુ કપૂર અને રણબીર કપૂર તેમની પડખે ઊભાં હતાં

રણબીર કપૂર મમ્મી નીતુ કપૂર સાથે

નીતુ કપૂરે જણાવ્યું છે કે રિશી કપૂરના અંતિમ દિવસોમાં તેઓ હાથ પણ ઊંચો નહોતા કરી શકતા. તેમનું ૨૦૨૦ની ૩૦ એપ્રિલે અવસાન થયું હતું. તેમને કૅન્સર થયું હતું અને એની સારવાર તેમણે અમેરિકામાં કરી હતી. તેમની ખામી કપૂર ફૅમિલીને ખૂબ સાલી રહી છે. તેમના અંતિમ દિવસોમાં નીતુ કપૂર અને રણબીર કપૂર તેમની પડખે ઊભાં હતાં. પંદર દિવસ સુધી તેઓ કંઈ કહી શક્યા નહીં. એ અનુભવને જણાવતાં નીતુ કપૂરે કહ્યું કે ‘૩૧ માર્ચે તેમની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ રિલીઝ થઈ હતી. ૧૯૭૯ની ૧૩ એપ્રિલે અમારી સગાઈ થઈ હતી. ૨૦૨૦ની ૧૩ એપ્રિલે તેમણે છેલ્લી વખત મારી સાથે વાત કરી હતી. રણબીર અને આલિયાનાં લગ્ન ૧૪ એપ્રિલે થયાં હતાં, પરંતુ પૂજા ૧૩ એપ્રિલે કરવામાં આવી હતી. ૧૩ એપ્રિલે તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા અને ત્યાર બાદથી કોઈ વાતચીત ન થઈ. બે અઠવાડિયાં સુધી તેઓ વેન્ટિલેટર પર હતા. એ વખતથી અમારી વચ્ચેની વાતચીત બંધ થઈ ગઈ હતી. તેઓ મારી સામે જોતા હતા અને હું તેમની સામે અક્ષરોવાળું આઇપૅડ લઈને બેઠી હતી અને તેમને કહ્યું કે તેઓ જે પણ કહેવા માગતા હોય એનો ઇશારો એના પર કરે. જોકે તેઓ પોતાની આંગળી ઉઠાવી શકવામાં પણ સક્ષમ નહોતા. હૉસ્પિટલમાં માત્ર હું અને રણબીર જ હતાં. તેમના જેવા ઝિંદાદિલ વ્યક્તિ જે પીડામાંથી પસાર થતા હતા એ જોવું અમારા માટે દુ:ખદાયક હતું. તેમને ઘણુંબધું કહેવું હતું, પરંતુ તેઓ કંઈ બોલી ન શક્યા. તેમને આવી સ્થિતિમાં કદી પણ નહોતા જોયા.’

મમ્મીનો બર્થ-ડે ૮ તારીખે હોવાથી એ નંબર લકી છે રણબીર માટે

રણબીર કપૂરે જણાવ્યું છે કે તેની મમ્મી નીતુ કપૂરનો બર્થ-ડે ૮ તારીખે હોવાથી એ નંબર તેના માટે લકી છે. રણબીર કપૂર દુબઈમાં સેલિબ્રિટી ફુટબૉલ કપ ૨૦૨૨માં ભાગ લેવા માટે પહોંચ્યો છે. આ મૅચમાં કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન અને શૂજિત સરકાર સહિત અનેક સેલિબ્રિટીઝ પણ ભાગ લેવાની છે. દુબઈમાં આયોજિત પ્રેસ-કૉન્ફરન્સમાં પોતાના લકી નંબર ૮ વિશે રણબીર કપૂરે કહ્યું કે તેની જર્સીનો નંબર પણ ૮ છે. તેનું કહેવું છે કે નંબર ૮ સાથે તેનું વિશેષ આકર્ષણ છે, કેમ કે ૮ જુલાઈએ તેની મમ્મીનો બર્થ-ડે છે. એવું પણ જાણવા મળ્યું છે કે આલિયા ભટ્ટ સાથે લગ્ન દરમ્યાન તેના હાથમાં રહેલા કલીરામાં પણ નંબર ૮નું કનેક્શન જોવા મળ્યું હતું. આ જ કારણ છે કે રણબીર ૮ નંબરને હંમેશાં પસંદ કરે છે. 

entertainment news bollywood bollywood news bollywood gossips rishi kapoor neetu kapoor neetu singh ranbir kapoor