18 September, 2023 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માધુરી દીક્ષિત
બૉલીવુડમાં ફેમસ કોરિયોગ્રાફર સરોજ ખાનની બાયોપિક બનવાની છે અને એને માટે માધુરી દીક્ષિત નેને ચર્ચા કરી રહી છે. ૨૦૨૦ની ત્રીજી જુલાઈએ સરોજ ખાનનું નિધન થયું હતું. તેમણે બૉલીવુડમાં ચાર દાયકા સુધી કોરિયોગ્રાફી કરી હતી. અનેક ફેમસ ઍક્ટ્રેસને તેમણે પોતાના ઇશારે નચાવ્યા હતા. થોડા સમય પહેલાં જ ટી-સિરીઝે જાહેર કર્યું હતું કે તેઓ સરોજ ખાનની બાયોપિક બનાવશે અને એ સાથે જ માધુરી તેમનો રોલ ભજવે એવી ચર્ચા શરૂ થઈ છે. આ બાયોપિકની રાઇટિંગ હજી શરૂ થવાની છે. સરોજ ખાનના જીવનમાં અનેક ઉતાર-ચડાવ આવ્યા હતા એથી મેકર્સની ઇચ્છા છે કે આ પ્રોજેક્ટમાં સરોજજીની લાઇફના વિવિધ તબક્કા દેખાડવા માટે અલગ-અલગ ઍક્ટર્સ લેવામાં આવે. એમાંના જ એક રોલ માટે માધુરીને લેવાની ઇચ્છા મેકર્સની છે. માધુરીના કરીઅરને એક નવી દિશા આપવામાં સરોજ ખાનની અગત્યની ભૂમિકા રહી છે. સાથે જ આ બન્ને વચ્ચે સંબંધો પણ ખૂબ વિશેષ હતા.