13 January, 2022 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લતા મંગેશકર (ફાઇલ તસવીર)
92 વર્ષીય ભારત રત્ન સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનો (Lata Mangeshkar) કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલમાં તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ છે. હાલમાં તે ICU (ઇન્ટેસિવ કેર યુનિટ)માં છે. વડાપ્રધાન મોદીએ મંગળવાર, 11 જાન્યુઆરીના રોજ ફોન કરીને લતા મંગેશકરની તબિયત અંગે માહિતી મેળવી હતી.
બ્રીચકેન્ડી હૉસ્પિટલના ડૉ. પ્રતીતના જણાવ્યા પ્રમાણે, સિંગર લતા મંગેશકર હજી પણ ICU વોર્ડમાં છે, પરંતુ તેમની તબિયતમાં થોડો સુધારો થયો છે.લતા મંગેશકરને માત્ર કોરોનાવાઇરસનું ઇન્ફેક્શન નથી પણ સાથે ન્યુમોનિયા પણ થયો છે. આ પહેલાં ડૉક્ટરે એમ કહ્યું હતું કે લતા મંગેશકરને 10-12 દિવસ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. તેઓ હાલમાં ઓક્સિજન સપોર્ટ પર છે.
લતા મંગેશકરનાં નાના બહેન ઉષા મંગેશકરે `બોમ્બે ટાઇમ્સ` સાથેની વાતચીતમાં કહ્યું હતું, `તેમની તબિયત અત્યારે સારી છે. કોરોનાની કોઈ માઠી અસર તેમની પર થઈ નથી. તેમને ન્યુમોનિયા છે અને તે પણ આજે ઠીક થઈ જશે. હવે તેઓ ઘણાં જ સ્વસ્થ છે અને એકાદ બે દિવસમાં જ તેમને રજા આપી દેવામાં આવશે.`