01 June, 2026 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કિયારા અડવાણીની ફાઇલ તસવીર
અભિનેત્રી કિયારા અડવાણી આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ `ટોક્સિક` (Toxic) ને લઈને સતત ચર્ચામાં છે. કિયારાએ માતૃત્વ (Kiara Advani on motherhood) અને બાળકના જન્મ પછી મહિલાઓએ અવારનવાર જે સામાજિક અપેક્ષાઓ અને દબાણનો સામનો કરવો પડે છે, તે અંગે ખુલીને અને નિખાલસતાથી પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
તાજેતરમાં જ માતા બનેલી કિયારા અડવાણીએ એક ઈન્ટરવ્યુમાં ડિલિવરી પછી મહિલાઓએ જે પ્રકારની અપેક્ષાઓનો સામનો કરવો પડે છે તે અંગે ખુલીને વાત કરી છે. તેણે એ વાત પર ખાસ ધ્યાન દોર્યું કે કેવી રીતે લોકોનું ધ્યાન મહિલાની પ્રેગ્નન્સીની ખુશીઓ ઉજવવાથી હટીને બીજી બિનજરૂરી બાબતો પર ચાલ્યું જાય છે.
વાતચીતમાં, અભિનેત્રીએ આ વાત પર ખાસ ધ્યાન દોર્યું હતું કે કેવી રીતે મહિલાઓની ગર્ભાવસ્થા (પ્રેગ્નન્સી)ની ખુશીઓ મનાવવાથી લઈને, બાળકના જન્મ પછી અચાનક જ લોકોનું ધ્યાન તેમના દેખાવ (લુક) ની આકરી ટીકા કરવા પર અને તેઓ ક્યારે કામ પર પરત ફરશે તેની ચર્ચાઓ પર શિફ્ટ થઈ જાય છે.
માતા બન્યા પછી પોતાના જીવનમાં આવેલા પરિવર્તનો વિશે વાત કરતા અભિનેત્રી કિયારા અડવાણીએ જણાવ્યું (Kiara Advani on motherhood) કે, ‘આ અનુભવ દરેક રીતે ખૂબ જ અદ્ભુત રહ્યો છે. મને લાગે છે કે હવે જે પણ ડાયરેક્ટર મારી સાથે કામ કરશે, તેમને મારું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન (અભિનય) જોવા મળશે. માતા બનવાની આ સફરે મારી અંદર દુનિયા પ્રત્યેની સમજણનો એક નવો દ્રષ્ટિકોણ ખોલી આપ્યો છે.’
કિયારાએ સમાજની માનસિકતા પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે તમે પ્રેગ્નન્ટ હોવ છો, ત્યારે દરેક વ્યક્તિ એમ કહે છે કે, “અરે વાહ, તારા ચહેરા પર કેટલો ગ્લો છે, તું કેટલી સુંદર લાગી રહી છે.” પરંતુ, જેવો તમે બાળકને જન્મ આપો છો કે તરત જ લોકોની વાતો બદલાઈ જાય છે. લોકો પછી એવી ટિપ્પણીઓ કરવા લાગે છે કે, `હવે તો આ જાડી લાગી રહી છે, થોડી આવી લાગે છે ને થોડી તેવી લાગે છે...’ એવું બોલતાં થઈ જાય છે.’
અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું કે, ‘જ્યારે તમે ગર્ભવતી હોવ છો ત્યારે લોકો તમને દેવીની જેમ પૂજે છે, પરંતુ બાળકના જન્મની સાથે જ તેઓ એવી અપેક્ષા રાખવા માંડે છે કે તમે તરત જ તમારી જૂની ફિટનેસ મેળવી લો અને કામ પર પરત ફરી જાઓ. વાસ્તવમાં, મહિલાઓ માટે સૌથી મુશ્કેલ સમય બાળકના જન્મ પછીનો જ હોય છે. આ એ જ સમય હોય છે જ્યારે તેમને સૌથી વધુ સાથ-સહકાર અને આશરાની જરૂર હોય છે.’
પોતાની વાત પૂરી કરતા કિયારાએ એક પ્રચલિત કહેવતનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘એવું કહેવાય છે કે એક બાળકના ઉછેર માટે આખા ગામની જરૂર પડે છે, બરાબર તેવી જ રીતે એક નવી માતાને સંભાળવા માટે પણ આખા ગામની (પરિવાર અને સમાજના સપોર્ટની) જરૂર પડે છે.’
તમને જણાવી દઈએ કે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)ના લગ્ન વર્ષ ૨૦૨૩માં થયા હતા. લગ્ન બાદ, ૧૫ જુલાઈ ૨૦૨૫ના રોજ તેમના ઘરે એક પુત્રીનો જન્મ થયો હતો, જેનું નામ ‘સારાયા’ (Saraayah) રાખવામાં આવ્યું છે.