15 February, 2025 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કેસરી વીરઃ લેજેન્ડ્સ ઑફ સોમનાથ ફિલ્મનું પોસ્ટર
`Kesari Veer` teaser out: બૉલિવૂડમાં ઐતિહાસિક અને પીરિયડ ડ્રામા ફિલ્મો માટે નવી ઉર્જા જોવા મળી રહી છે. આવી જ એક ભવ્ય ઐતિહાસિક ફિલ્મ `કેસરી વીર: લેજેન્ડ્સ ઑફ સોમનાથ`નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું ટીઝર સામે આવતા જ પ્રેક્ષકોમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. સુનીલ શેટ્ટી, વિવેક ઑબેરૉય, સૂરજ પંચોલી અને કનુ ચૌહાણ દ્વારા નિર્મિત અને પ્રિન્સ ધીમાન દિગ્દર્શિત આ ફિલ્મ મહાન યુદ્ધકથા પર આધારિત છે.
સોમનાથના રક્ષણની ગાથા
ફિલ્મની કથા 14મી સદીમાં થયેલા યુદ્ધ પર આધારિત છે, જ્યારે એક ભયાનક આક્રમકે સોમનાથ મંદિર પર કબજો મેળવવા માટે હુમલો કર્યો હતો. આ શત્રુઓ સામે લડવા માટે રાજપૂત યોદ્ધાઓએ મહાન યુદ્ધ લડ્યું હતું. આ ફિલ્મમાં, એ મહાન યુદ્ધની ગાથા ભવ્ય રીતે રજૂ કરવામાં આવી છે. ટીઝરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ફિલ્મમાં યુદ્ધના દ્રશ્યો, દમદાર એક્શન અને વીરરસ સુંદર રીતે ભળેલું જોવા મળશે.
દળદાર સ્ટારકાસ્ટ
સુનીલ શેટ્ટી – તેઓ વેગડા નામના મહાન યોદ્ધાની ભૂમિકા ભજવી રહ્યા છે, જે સોમનાથના રક્ષણ માટે પોતાના જીવની બાજી લગાવી દે છે.
સૂરજ પંચોલી – તેઓ વીર હમીરજી ગોહિલના રોલમાં છે, જે એક પરાક્રમી યોદ્ધા હતા અને આ મહાન યુદ્ધમાં તેમની મહત્વની ભૂમિકા હતી.
વિવેક ઑબેરૉય – ફિલ્મમાં ઝફર નામના ભયાનક વિલનના રોલમાં છે, જે ગુજરાત પર આક્રમણ કરી સોમનાથ મંદિર લૂંટવા માટે આવે છે.
અકાંક્ષા શર્મા – આ ફિલ્મથી બૉલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. તે રાજલ નામના પાત્રમાં છે અને સૂરજ પંચોલી સાથે રોમેન્ટિક પાત્રમાં જોવા મળશે.
`Kesari Veer` teaser out: ટીઝરમાં યુદ્ધના દ્રશ્યો અને ભવ્ય સેટ્સ
ફિલ્મના ટીઝરમાં મહાન યુદ્ધની ઝલક જોવા મળે છે. તેમાં તલવારબાજી, શસ્ત્રો, ઐતિહાસિક પોશાખો અને દમદાર ડાયલૉગ્સની રજૂઆત કરવામાં આવી છે, જેનાથી આ ફિલ્મ ભવ્ય બને છે. ટીઝરમાં સુનીલ શેટ્ટી અને સૂરજ પંચોલી લડાઈની તૈયારી કરતાં જોવા મળે છે, જ્યારે વિવેક ઑબેરૉય એક શકિતશાળી વિલન તરીકે શાનદાર લાગી રહ્યો છે.
ભવ્યતાની અનોખી છાપ
આ પીરિયડ ડ્રામામાં અદ્ભૂત સેટ ડિઝાઇન, યુદ્ધના ભવ્ય દ્રશ્યો અને શાનદાર VFXનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિગ્દર્શક પ્રિન્સ ધીમાનએ ફિલ્મને હકીકત જેવી બતાવવામાં ઐતિહાસિક સૌંદર્ય જાળવી રાખવામાં કંઈ જ પાછી પાની રાખી નથી.
`Kesari Veer` teaser out: ફિલ્મની રિલીઝ ડેટ
`કેસરી વીર: લેજેન્ડ્સ ઑફ સોમનાથ` 14 માર્ચ 2025ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે.
આ ફિલ્મ માત્ર એક મહાન યુદ્ધકથા નહીં, પણ ભારતીય સંસ્કૃતિ અને વીરતા વિશે ગૌરવભરી કથા હશે, જે ભવ્ય ઐતિહાસિક સિનેમાની ઉત્સુકતા ધરાવતા પ્રેક્ષકો માટે એક બહુપ્રતિક્ષિત ફિલ્મ બની રહેશે.