કંઈક તો રંધાઈ રહ્યું છે

09 September, 2026 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરીના કપૂર ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ઑફિસની બહાર જોવા મળી એટલે આવી ચર્ચા શરૂ થઈ છે

ગઈ કાલે જુહુમાં આવેલી સંજય લીલા ભણસાલીની ઑફિસની બહાર કરીના કપૂર.

ગઈ કાલે કરીના કપૂર ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ઑફિસની બહાર જોવા મળતાં તેઓ કોઈ પ્રોજેક્ટમાં સાથે કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવાની ચર્ચા શરૂ થઈ છે. ખાસ વાત તો એ છે કે ‘દેવદાસ’ના મામલે બન્ને વચ્ચે અણબનાવ થયો હોવાના રિપોર્ટના લગભગ પચીસ વર્ષ બાદ કરીના આખરે સંજય લીલા ભણસાલીની ઑફિસે પહોંચી હતી. 
હાલમાં રિપોર્ટ હતા કે સંજય લીલા ભણસાલીએ પોતાની આગામી ફિલ્મમાં ફીમેલ લીડ માટે કરીનાનો સંપર્ક કર્યો છે. આ ફિલ્મમાં તામિલ ઍક્ટર ધનુષ પણ જોવા મળશે. જો કરીના આ પ્રોજેક્ટ સાઇન કરશે તો તેની સંજય લીલા ભણસાલી સાથેની આ પહેલી ફિલ્મ હશે. કરીનાની ગઈ કાલની મુલાકાત જોઈને લાગે છે કે તે આ ફિલ્મ કરવા તૈયાર છે.

 કેવી રીતે સર્જાયો કરીના અને ભણસાલી વચ્ચે અણબનાવ?

કરીના કપૂર અને સંજય લીલા ભણસાલી વચ્ચેના અણબનાવનો ઘટનાક્રમ ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં સર્જાયો હતો. આ સમયે ‘દેવદાસ’માં પાર્વતી એટલે કે પારોની ભૂમિકા માટે કરીનાના નામની ચર્ચા થઈ હતી. રિપોર્ટ પ્રમાણે તેણે આ ભૂમિકા માટે સ્ક્રીન-ટેસ્ટ પણ આપી હતી અને તેને સાઇનિંગ અમાઉન્ટ પણ મળી હતી. જોકે પછી આ રોલ ઐશ્વર્યા રાય બચ્ચનને મળ્યો હતો. 
કરીનાએ પછી આ ઘટનાને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હું ક્યારેય સંજય લીલા ભણસાલી સાથે કામ નહીં કરું. તેમણે મારી સાથે જે કર્યું એ ખોટું હતું. તેમણે ‘દેવદાસ’ માટે મારી સ્ક્રીન-ટેસ્ટ લીધી, મને સાઇનિંગ અમાઉન્ટ આપી અને પછી કોઈ અન્યને રોલ આપી દીધો. આ ખોટું હતું અને ખાસ કરીને મારી કારકિર્દીની શરૂઆતમાં આ વાતથી મને ખૂબ દુઃખ થયું હતું. જોકે ઠીક છે, કારણ કે જે દિવસે તેમણે મને ફિલ્મમાંથી દૂર કરી એ દિવસે મેં ‘યાદેં’ સાઇન કરી હતી. સંજયે મને દુઃખ પહોંચાડ્યું હતું. મારી પાસે કામ ન હોય તો પણ હું તેમની સાથે ક્યારેય કામ નહીં કરું.’

kareena kapoor sanjay leela bhansali entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood