20 June, 2022 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનીસ બઝ્મી
ફિલ્મમેકર અનીસ બઝ્મીએ જણાવ્યું હતું કે તે જ્યારે બોની કપૂરના ઘરે ‘નો એન્ટ્રી’ની સીક્વલની સ્ક્રિપ્ટ સંભળાવવા ગયો ત્યારે ત્યાં લગભગ પચીસ લોકો હાજર હતા અને એ બધાને તેને સ્ટોરી નરેટ કરવી પડી હતી. છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે એ ‘નો એન્ટ્રી’ની સીક્વલ વિશે ચર્ચા કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલાં જાણ થઈ હતી કે સલમાન ખાન આ વર્ષના અંત સુધીમાં અનિલ કપૂર અને ફરદીન ખાનને લઈને ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યો છે. બોની કપૂરના ઘરે લગભગ પચીસ જણના ગ્રુપને સ્ક્રિપ્ટ સંભળાવી હતી એ યાદ કરતાં અનીસ બઝ્મીએ કહ્યું કે ‘બોની સાહેબે એક વાર કહ્યું હતું કે ઘરે આવો એક વાર અને શ્રીજી (શ્રીદેવી)ને પણ સ્ટોરી સંભળાવો તો હું તેમના ઘરે ગયો ત્યારે ત્યાં ૨૦-૨૫, ૫૦ લોકોનું ગ્રુપ હતું. મેં પૂછ્યું કે આ શું છે તો તેમણે કહ્યું કે એ બધા આપણા જ લોકો છે, કોઈ ડિસ્ટ્રિબ્યુટર છે તો કોઇ ફાઇનૅન્સર છે, બધા ફિલ્મી હસ્તીઓ છે.’
ફિલ્મમેકર આટલા બધા લોકોને જોઈને શૉક્ડ હતો. એ વિશે અનીસ બઝ્મીએ સમજાવ્યું કે ‘આટલા બધા લોકોને સ્ટોરી સંભળાવવી મારા માટે મુશ્કેલ રહેશે. સ્ટોરી સંભળાવવામાં એવું છે કે એ એકસાથે આટલા બધા લોકોને ન સંભળાવી શકાય. આમ કરવામાં આઇ-કૉન્ટૅક્ટ નથી થઈ શકતો અને મારી આદત છે કે હું સ્ટોરી સંભળાવતી વખતે તમારી આંખોમાં જોઈને જ સમજી જાઉં છું કે તમને સ્ટોરી સારી લાગી રહી છે કે નહીં. એકસાથે પચીસ જણસ્ટોરી સાંભળતા હોય ત્યારે આ શક્ય નથી બનતું.’