17 June, 2021 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ કેળકર
શરદ કેળકરનું કહેવું છે કે તે પોતાને સ્ટાર નથી માનતો. ટીવી-શો ‘સાત ફેરે’ દ્વારા તે ઘર-ઘરમાં જાણીતું નામ બન્યો હતો. જોકે વેબ-શોમાં કામ કરીને તેને સ્ટાર સ્ટેટસ મળ્યું છે. ‘તાન્હાજી’ અને ‘લક્ષ્મી બૉમ્બ’માં તેના કામને ખૂબ જ વખાણવામાં આવ્યું હતું. આ વિશે વાત કરતાં શરદ કેળકરે કહ્યું હતું કે ‘હું પોતાની જાતને સ્ટાર નથી ગણતો, કારણ કે હું એ નથી. હું એક ઍક્ટર છું. મારા માટે એ પૂરતું છે. હું જ્યારે ટીવીમાં કામ કરતો હતો ત્યારે સ્ટાર શબ્દને ૧૪ વર્ષ પહેલાં હું પાછળ છોડી આવ્યો હતો. હું ત્યારે નંબર વન શોમાં કામ કરી રહ્યો હતો.’
આ વિશે વધુ જણાવતાં શરદ કેળકરે કહ્યું હતું કે ‘એક અવૉર્ડ શો હતો જેમાં મને નૉમિનેટ કરવામાં નહોતો આવ્યો. હું નંબર વન શોનો લીડ ઍક્ટર હતો એથી હું થોડો અપસેટ હતો. એ સમયની મારી ક્રીએટિવ પ્રોડ્યુસર જે હાલમાં પ્રોડ્યુસર છે તેણે મને સવાલ કર્યો હતો કે શું તારે ખરેખર સ્ટારડમની રેસમાં જવું છે? હું એવું માનતો હતો કે કેમ નહીં, દરેકને સ્ટાર બનવું છે. તેણે મને કહ્યું હતું કે એક ઍક્ટર છે જે ફિલ્મોમાં કામ કરી રહ્યો છે અને તે મારા કરતાં ખૂબ જ મોટો સ્ટાર છે. આવા જ ઘણા સ્ટાર છે અને લિસ્ટ લાંબું છે અને તું એમાં એક નાનકડું પાત્ર બનીને રહી જશે. એના કરતાં સારું છે કે લોકો તને સારા ઍક્ટર તરીકે ઓળખે. એ દિવસથી સ્ટારડમવાળા વિચારને મેં પડતા મૂકી દીધા હતા અને મેં એક સારો ઍક્ટર બનવાનું નક્કી કર્યું હતું.’