જો કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો માફી માગું છું : આમિર ખાન

11 August, 2022 05:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિવિધ થિયેટર્સમાં દર્શકોનાં રિયલ રીઍક્શન્સ જોવા જશે આમિર ખાન

આમિર ખાન ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના પ્રમોશન માટે તેની ટીમ સાથે બુધવારે અમ્રિતસર ગોલ્ડન ટેમ્પલની મુલાકાતે ગયો હતો.

‘લાલસિંહ ચઢ્ઢા’નો જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે એને જોતાં આમિરે જણાવ્યું છે કે જો કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો તે માફી માગે છે. આજે રિલીઝ થનારી આ ફિલ્મને અદ્વૈત ચંદને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં કરીના કપૂર ખાન, નાગ ચૈતન્ય અને મોના સિંહ પણ છે. આમિરે થોડાં વર્ષો પહેલાં દેશને લઈને ટૉલરન્ટવાળું નિવેદન આપ્યું હતું એને લઈને તેને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. #BoycottLaalSinghChaddha ટ્રેન્ડ થઈ રહ્યો છે. હવે એના પર પ્રતિક્રિયા આપતાં આમિરે કહ્યું કે ‘મેં કોઈ પણ પ્રકારે જો કોઈની લાગણીને ઠેસ પહોંચાડી હોય તો હું ખેદ વ્યક્ત કરું છું. હું કોઈને દુખી નથી કરવા માગતો. જો કોઈને ફિલ્મ ન જોવી હોય તો હું તેની આ લાગણીને પણ માન આપું છું. આમ છતાં જો લોકો ફિલ્મ જોવા જશે તો મને ગમશે, કારણ કે આ અમારી મહેનતનું પરિણામ છે. અનેક લોકોએ આ ફિલ્મ માટે સખત મહેનત કરી છે.’

ફિલ્મ રિલીઝ થઈ હોવાથી ઊંઘી નથી શક્યો આમિર

આમિર ખાનનું કહેવું છે કે તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થઈ હોવાથી તે પૂરતી ઊંઘ પણ નથી લઈ શક્યો. તેની ફિલ્મ આજે રિલીઝ થઈ હોવાથી તે અત્યાર સુધી ખૂબ જ સ્ટ્રેસમાં હતો. આ વિશે વાત કરતાં આમિરે કહ્યું કે ‘હું હાલમાં ખૂબ નર્વસ છું. ૪૮ કલાક પસાર થઈ ગયા છે, હું ઊંઘી નથી શક્યો. હું મજાક નથી કરી રહ્યો. હું નથી ઊંઘી શકતો. મારું દિમાગ અતિશય થાકી ગયું છે. એથી બુક્સ વાંચું છું અથવા તો ઑનલાઇન ચેસ અને કતાન રમું છું. હું રિલીઝ બાદ હવે ઊંઘી શકીશ. ફાઇનલી હવે હું અને અદ્વૈત ચંદન નિરાંતથી ઊંઘી શકીશું. બાદમાં અમે જ્યારે જાગીશું તો દર્શકોને ફિલ્મ ગમી છે કે નહીં એ જાણવા મળશે. અમે જાગીને એ વિશે વધુ વિચારીશું.’

entertainment news bollywood news laal singh chaddha aamir khan golden temple mona singh