તે મને આજે સામે મળશે તો હું તેને ભેટી લઈશ

18 April, 2024 06:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંગના રનૌત સાથેના મતભેદ વિશે હંસલ મહેતાએ કહ્યું...

હંસલ મહેતા , કંગના રનૌત

હંસલ મહેતાનું કહેવું છે કે જો કંગના રનૌત આજે તેને મળી તો તેને તેઓ ભેટી પડશે. ૨૦૧૭માં આવેલી ‘સિમરન’માં હંસલ મહેતા અને કંગનાએ સાથે કામ કર્યું હતું અને એ દરમ્યાન તેમની વચ્ચે મતભેદ થયા હતા. ત્યાર બાદ તેઓ નથી મળ્યાં. કંગના હવે પૉલિટિક્સમાં જતી રહી છે. જોકે તે ફિલ્મોમાં પણ કામ કરશે અને તેની ‘ઇમર્જન્સી’ પણ આવી રહી છે. કંગના સાથેના રિલેશન વિશે વાત કરતાં હંસલ મહેતા કહે છે, ‘અમે બન્ને અલગ ફિલ્મ બનાવવા માગતાં હતાં. તેની ફિલ્મને જોવાની દૃષ્ટિ અલગ હતી અને મેં અલગ સ્ક્રિપ્ટ બનાવી હતી. જોકે મેં હાર માની લીધી હતી અને સ્ટારે જેવી ફિલ્મ બનાવવી હતી એ બનાવી હતી. મારું માનવું છે કે ફિલ્મ સારી હોય તો એની ક્રેડિટ દરેકને મળવી જોઈએ અને ફિલ્મ નિષ્ફળ રહે તો એ માટે ફક્ત હું જવાબદાર છું. અમારી વચ્ચે એટલું કંઈ મોટું નહોતું થયું, પરંતુ ફિલ્મનો એક્સ્પીરિયન્સ સારો નહોતો રહ્યો. સેટ પર માહોલ થોડો ટેન્શનવાળો રહેતો હતો. તે ખૂબ જ સારી છે અને અદ્ભુત ઍક્ટર છે. આ ફિલ્મ બનાવવા દરમ્યાન ઘણાં રિલેશન ખરાબ થયાં હતાં. રાઇટર અપૂર્વ અસરાની સાથે પણ મારા મતભેદ થયા હતા. અમારી ફાઇટ પબ્લિક બની ગઈ હતી. મારા પર ઘણું નાણાકીય પ્રેશર હતું. જોકે મેં કોઈ દિવસ વેરભાવ નથી રાખ્યો. જો હું આજે કંગનાને મળીશ તો તેને જોઈને તેને ભેટી લઈશ. અમારાં મંતવ્યો અલગ હતાં, પરંતુ હું આર્ટિસ્ટનો ડિસરિસ્પેક્ટ નથી કરતો.’

entertainment news bollywood buzz bollywood news bollywood hansal mehta kangana ranaut bollywood gossips