11 February, 2026 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોવિંદા
ગોવિંદાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં નિર્માતા કરણ જોહરની ૨૦૨૨માં આવેલી ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ગોવિંદાનો આરોપ છે કે ફિલ્મની સ્ટોરી તેની વ્યક્તિગત જિંદગી અને પત્ની સુનીતા આહુજા સાથેના કથિત મતભેદોથી પ્રેરિત છે.
ફિલ્મના નામ ‘ગોવિંદા નામ મેરા’ અને વાર્તા પર આપત્તિ વ્યક્ત કરતાં ગોવિંદાએ કહ્યું હતું કે કોઈની પર્સનલ લાઇફને જબરદસ્તી ફિલ્મ સાથે જોડવી યોગ્ય નથી. પોતાની લાગણી વ્યક્ત કરતાં ગોવિંદાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘કોઈકે મારા નામથી ફિલ્મ બનાવી ‘ગોવિંદા નામ મેરા.’ મને લાગે છે કે આ કરણ જોહરની ફિલ્મ હતી. એમાં પતિ-પત્ની વચ્ચે ગર્લફ્રેન્ડને લઈને ઝઘડો થાય છે અને બન્ને એકબીજા પર શંકા કરે છે. મને એવું લાગ્યું કે કોઈકની વ્યક્તિગત જિંદગીને ફિલ્મમાં ફિટ કરવાની કોશિશ કરવામાં આવી છે. મજાક દરેક જગ્યા અને દરેક સમયે સારી નથી લાગતી.’
આ ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે ‘હું વચન આપું છું કે જો ક્યારેય મારી કરણ જોહર સાથે મુલાકાત થઈ તો તેને જાહેરમાં રજનીકાન્ત જેવો એવો ‘પ્રસાદ’ આપીશ કે આખી જિંદગી યાદ રહેશે. હાથ જોડીને કહું છું કે કોઈ સાથે બદતમીઝી ન કરશો. મજાક હંમેશાં યોગ્ય નથી હોતી.’
‘ગોવિંદા નામ મેરા’ ધર્મા પ્રોડક્શન્સના બૅનર હેઠળ બનેલી એક રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ હતી. ફિલ્મમાં વિકીએ ગોવિંદ વાઘમારે નામના પાત્રની ભૂમિકા ભજવી હતી જે એક બૅકગ્રાઉન્ડ ડાન્સર છે અને પ્રોફેશનલ કોરિયોગ્રાફર બનવાનું સપનું જુએ છે. ગોવિંદ વાઘમારેની વ્યક્તિગત જિંદગી ઘણી ઉલઝનોથી ભરેલી હોય છે. તે પોતાની પત્ની ભૂમિ પેડણેકરને છોડીને ગર્લફ્રેન્ડ કિઆરા અડવાણી સાથે નવી જિંદગી શરૂ કરવા માગે છે. જોકે છૂટાછેડાના રસ્તામાં આર્થિક અડચણ આવે છે, કારણ કે પત્ની લગ્ન સમયે આપેલા બે કરોડ રૂપિયા પાછા માગે છે.