એન્ટરટેઇનમેન્ટ અપડેટ્સ: યામી ગૌતમ અને આદિત્ય ધરે સપરિવાર મહાકાલેશ્વર મંદિરમાં કર્યાં દર્શન

19 June, 2026 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સમયે યામીએ મંદિરની ઉત્તમ વ્યવસ્થા અને સ્વચ્છતા માટે મંદિર પ્રશાસન તથા અધિકારીઓની પ્રશંસા પણ કરી હતી.

યામીએ પ્રથમ વખત ભગવાન મહાકાલનાં દર્શન કર્યા

યામી ગૌતમ અને આદિત્ય ધરે દીકરા વેદાવિદ અને પરિવારના અન્ય સભ્યો સાથે બુધવારે ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં જઈ ભગવાન શિવનાં દર્શન કર્યાં અને આશીર્વાદ મેળવ્યા. આ સમયે યામીએ મંદિરની ઉત્તમ વ્યવસ્થા અને સ્વચ્છતા માટે મંદિર પ્રશાસન તથા અધિકારીઓની પ્રશંસા પણ કરી હતી.

યામીએ પ્રથમ વખત ભગવાન મહાકાલનાં દર્શન કર્યા પછી પોતાને થયેલા અનુભવ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મેં મહાકાલેશ્વર મંદિર વિશે ઘણું સાંભળ્યું હતું પણ અહીં આવવાનું સૌભાગ્ય મને પ્રથમ વખત મળ્યું છે. આ પહેલાં હું ‘ઓહ માય ગૉડ 2’ના શૂટિંગ માટે ઉજ્જૈન આવી હતી પણ એ સમય મંદિરમાં દર્શન કરી શકી નહોતી. હવે મને આ આધ્યાત્મિક અનુભવ કરવાની તક મળી છે.’

રામ ગોપાલ વર્મા એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ દયા નાયક પરથી ફિલ્મ બનાવવાના પ્લાનિંગમાં

ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા હવે ગૅન્ગવૉરની વાર્તા પરથી ફિલ્મ બનાવવાના પ્લાનિંગમાં છે. જોકે આ ફિલ્મનું કેન્દ્રબિંદુ એક એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ હશે. આ માટે તેણે મુંબઈના જાણીતા એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ દયા નાયકની પસંદગી કરી છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ બનાવવાની યોજના નવી નથી. વર્ષો પહેલાં પણ આ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું હતું પણ એ પૂર્ણ થઈ શક્યું નહોતું. ૨૦૧૦માં પણ રામ ગોપાલ વર્માએ દયા નાયક પર આધારિત પ્રોજેક્ટ વિશે વિચાર કર્યો હતો. એ સમયે દયા નાયક ફિલ્મ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયો હતો. જોકે પછી આ પ્રોજેક્ટ અટકી ગયો હતો. હવે રામ ગોપાલ વર્માએ ફરી આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું છે અને તેનું આયોજન આ ફિલ્મને તેની લોકપ્રિય ‘કંપની’ ફ્રૅન્ચાઇઝીના ભાગ તરીકે રજૂ કરવાનું છે. 
મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ પર પ્રાથમિક કામ શરૂ થઈ ચૂક્યું છે અને સ્ક્રીનપ્લે પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. ચર્ચા છે કે આ પ્રોજેક્ટ કોઈ મોટા પ્રોડક્શન હાઉસના બૅનર હેઠળ બની શકે છે. 

અક્ષયે વેલકમ ટુ ધ જંગલની રિલીઝ પહેલાં કર્યાં વૈષ્ણો દેવી મંદિરમાં દર્શન

અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ ૨૬ જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મની રિલીઝ પહેલાં અક્ષયે ગુરુવારે માતા વૈષ્ણો દેવી મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. આ મંદિર પરિસરમાંથી અક્ષય કુમારના અનેક વિડિયો હાલમાં સોશ્યલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ ૨૦૨૩માં શરૂ થયું હતું, પણ અલગ-અલગ કારણોસર એમાં અનેક વિલંબ થયા હતા. આ ફિલ્મની રિલીઝ-તારીખ પણ અનેક વખત બદલવામાં આવી હતી. ‘વેલકમ ટુ ધ જંગલ’ એની વિશાળ સ્ટારકાસ્ટ માટે પણ ચર્ચામાં છે. ફિલ્મમાં લગભગ ૩૪ જાણીતા કલાકારો જોવા મળશે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત સુનીલ શેટ્ટી, દિશા પાટની, જૅકલિન ફર્નાન્ડિસ, રવીના ટંડન, લારા દત્તા, અર્શદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, આફતાબ શિવદાસાની, જૅકી શ્રોફ અને અન્ય ઘણા કલાકારો મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.

નવી હેર-કટ અને કલરથી સાવ બદલાઈ ગયો ૬૨ વર્ષની મંદાકિનીનો લુક

‘રામ તેરી ગંગા મૈલી’ની સ્ટાર મંદાકિની છેલ્લાં ૩૦ વર્ષથી અભિનયથી દૂર છે પણ તે સોશ્યલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. હાલમાં મંદાકિની પોતાના મેકઓવરને લઈને ચર્ચામાં છે. તેણે તાજેતરમાં નવી હેર-કટ અને કલર કરાવ્યાં છે જેના કારણે ૬૨ વર્ષની મંદાકિનીનો લુક સાવ બદલાઈ ગયો છે. મંદાકિનીનો નવો અંદાજ જોઈને ઘણા ચાહકોએ તેની પ્રશંસા કરી છે. હાલમાં મંદાકિની પોતાના પતિ અને પરિવાર સાથે મુંબઈમાં રહે છે. તે યોગા ક્લાસિસ ચલાવે છે તેમ જ તિબેટિયન હર્બલ સેન્ટરનું સંચાલન પણ કરે છે.

પેદ્દીમાં ઉમેરાયાં પાંચ મિનિટ અને ૫૬ સેકન્ડનાં નવાં દૃશ્યો

રામ ચરણ તેજા, જાહ્‌નવી કપૂર અને જગપતિ બાબુની ફિલ્મ ‘પેદ્દી’ના નિર્માતાઓએ જાહેરાત કરી છે કે હવે દર્શકોને થિયેટરમાં ફિલ્મના કેટલાંક નવાં દૃશ્યો જોવાં મળશે. ગઈ કાલે સોશ્યલ મીડિયા પર આપવામાં આવેલી માહિતી મુજબ ફિલ્મના થિયેટ્રિકલ વર્ઝનમાં અગાઉ ક્યારેય ન બતાવવામાં આવેલાં પાંચ મિનિટ અને ૫૬ સેકન્ડનાં નવાં દૃશ્યો ઉમેરવામાં આવ્યાં છે. ‘પેદ્દી’ ચોથી જૂને રિલીઝ થઈ હતી અને ત્યારથી બૉક્સ-ઑફિસ પર સતત ચર્ચામાં રહી છે. એક તરફ ‘પેદ્દી’ બૉક્સ-ઑફિસ પર સફળતાપૂર્વક આગળ વધી રહી છે ત્યાં બીજી તરફ જાહ્‌નવી કપૂરના પાત્રને અતિશય સેક્સ્યુઅલ અંદાજમાં દેખાડવાને કારણે ઊભો થયેલો વિવાદ પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ ટીકાઓ બાદ ડિરેક્ટરે નિવેદન જાહેર કરીને દર્શકોની ચિંતાઓ સ્વીકારી હતી અને ખાતરી આપી હતી કે જે દૃશ્યોને લઈને દર્શકો અસ્વસ્થતા અનુભવી રહ્યા છે એમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે.

અદા શર્માની પહેલી મરાઠી ફિલ્મ ગજરાનો ફર્સ્ટ લુક લૉન્ચ

‘ધ કેરલા સ્ટોરી’ અને ‘1920’ જેવી ફિલ્મોથી દર્શકો વચ્ચે ઓળખ બનાવનારી અદા શર્મા હવે મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકવા જઈ રહી છે. તેની પ્રથમ મરાઠી ફિલ્મ ‘ગજરા’ હશે. ફિલ્મની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે અને તેનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. અદાને લીડ રોલમાં ચમકાવતી તેની આ પહેલી મરાઠી ફિલ્મ ૨૦૨૭માં રિલીઝ થશે. ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કરીને અદાએ કહ્યું હતું કે ‘મારી પ્રથમ મરાઠી ફિલ્મ ‘ગજરા’. આપ સૌના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.’

aditya dhar yami gautam bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news uttarakhand religious places ram gopal varma mandakini adah sharma