22 November, 2021 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રણોત
કંગના રનોટે ખેડૂતોની સરખામણી ખાલિસ્તાનીઓ સાથે કરતાં દિલ્હી સિખ ગુરુદ્વારા મૅનેજમેન્ટ કમિટીએ તેની વિરુદ્ધ સખત પગલાં લેવાની માગણી કરી છે. તેમણે પ્રેસિડન્ટ રામનાથ કોવિંદને પત્ર લખીને અપીલ કરી છે કે કંગનાને આપવામાં આવેલો પદ્મશ્રી પુરસ્કાર પાછા લેવામાં આવે. તેમણે પત્રમાં લખ્યું છે કે કંગના એક પછી એક વિવાદ ઊભા કરી રહી છે. તે વિવાદાસ્પદ નિવેદનો કરીને દેશમાં શાંતિ ભંગ કરવાના પ્રયાસ કરી રહી છે. તે દેખાવ કરી રહેલા ખેડૂતો ખાસ કરીને સિખોને લઈને પણ અપશબ્દો કહી રહી છે. તો બીજી તરફ શિરોમણિ અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું હતું કે ‘કંગનાને જેલમાં કાં તો મેન્ટલ હૉસ્પિટલમાં મોકલવામાં આવે. તેનાં કઠોર વક્તવ્યોને લઈને તેની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની અમે માગણી કરી રહ્યા છીએ.’
સાથે જ યુવા કૉન્ગ્રેસના નૅશનલ સેક્રેટરી અમરીશ પાન્ડેએ દિલ્હીમાં પાર્લમેન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેની વિરુદ્ધ દેશદ્રોહ, શાંતિ ભંગ કરવાની અને સાર્વજનિક અપમાન કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓને પાછા લેતાં કંગનાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેણે જે નિવેદન ઇન્સ્ટાસ્ટોરીમાં લખ્યું હતું એને લઈને જ વિવાદ વધી રહ્યો છે. ઇન્સ્ટાસ્ટોરીમાં કંગનાએ લખ્યું હતું કે ‘ખાલિસ્તાની આતંકવાદી કદાચ આજે ભલે સરકારના હાથ વાળી રહ્યા હોય, પરંતુ તેમણે ભારતની એકમાત્ર વડા પ્રધાનને ન ભૂલવી જોઈએ જેણે આ લોકોને પોતાના પગ નીચે કચડી નાખ્યા હતાં. તેમણે આ દેશ માટે કેટલું સહન કર્યું હતું. પોતાના જીવના જોખમે તેમણે આ લોકોને મચ્છરોની જેમ કચડી નાખ્યા હતા. જોકે દેશના ટુકડા ન થવા દીધા. તેમના નિધનના કેટલાય દાયકાઓ બાદ પણ આજ સુધી તેઓ તેમના નામથી કાંપે છે. તેમને આવા જ ગુરુ હોવા જોઈએ.’