07 August, 2026 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજપાલ યાદવ
ઍક્ટર રાજપાલ યાદવની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. અગાઉથી ચાલી રહેલા ૯ કરોડ રૂપિયાના ચેક બાઉન્સિંગના કેસ બાદ હવે સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાએ લોનની વસૂલાત માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બે બૅન્કે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં આવેલી રાજપાલ યાદવની બે મિલકતોની હરાજી માટે નોટિસ ચોંટાડી છે.
બૅન્કના જણાવ્યા અનુસાર રાજપાલ યાદવ પર ૧૬,૬૧,૬૪,૦૦૦ રૂપિયાની લોન અને વ્યાજ બાકી છે. આ લોન તેણે પોતાની ડિરેક્ટર તરીકેની પ્રથમ ફિલ્મ ‘અતા પતા લાપતા’ના નિર્માણ માટે લીધી હતી. બૅન્કના રિકવરી-અધિકારીઓ શાહજહાંપુરમાં આવેલા રાજપાલ યાદવના વતન પહોંચ્યા હતા અને ત્યાં મિલકતો પર હરાજીની નોટિસ લગાવી હતી.
રિપોર્ટ પ્રમાણે શાહજહાંપુરમાં રાજપાલ યાદવની બે મિલકતો છે. એમાં શહેરમાં આવેલી એક મિલકત ઉપરાંત ગામમાં આવેલું તેનું ઘર અને ખેતીની જમીન સામેલ છે. આ બન્ને મિલકતોની અંદાજિત કિંમત ૩,૧૯,૨૬,૦૦૦ રૂપિયા હોવાનું જણાવાયું છે. આ મિલકતોની ૯ સપ્ટેમ્બરે ઑનલાઇન હરાજી કરવામાં આવશે.
લોન મેળવતી વખતે રાજપાલ યાદવે પોતાની પત્ની રાધા યાદવ અને માતા ગોદાવરી યાદવની મિલકતો ગૅરન્ટી તરીકે મૂકી હતી. શાહજહાંપુર ઉપરાંત મુંબઈમાં આવેલી તેની અન્ય મિલકતો સામે પણ વસૂલાતની કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવાયું છે. જો સમયસર બાકી રકમની ચુકવણી નહીં થાય તો બૅન્ક નિયમ મુજબ હરાજીની કાર્યવાહી આગળ વધારશે.