શા માટે ‘એક વિલન’માં કામ ન કરી શક્યો અર્જુન કપૂર?

02 July, 2022 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે હવે તે એ ફિલ્મની સીક્વલ ‘એક વિલન રિટર્ન્સ’માં કામ કરી રહ્યો છે

અર્જુન કપૂર

અર્જુન કપૂરે જણાવ્યું છે કે કયાં કારણોસર તે ‘એક વિલન’માં કામ નહોતો કરી શક્યો. જોકે હવે તે એ ફિલ્મની સીક્વલ ‘એક વિલન રિટર્ન્સ’માં કામ કરી રહ્યો છે. એ ફિલ્મમાં તેની સાથે જૉન એબ્રાહમ, દિશા પટણી અને તારા સુતરિયા લીડ રોલમાં છે. મોહિત સૂરિએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ૨૯ જુલાઈએ રિલીઝ થવાની છે. અર્જુન કપૂરને ‘એક વિલન’માં કામ કરવાની ખૂબ ઇચ્છા હતી, પરંતુ તે કામ ન કરી શક્યો. એનું કારણ જણાવતાં અર્જુન કપૂરે કહ્યું કે ‘એ વખતે હું મારા ડૅડીની ફિલ્મ ‘તેવર’માં કામ કરી રહ્યો હતો અને આ જ કારણ છે કે હું એમાં કામ ન કરી શક્યો. આ વખતે જ્યારે મોહિત સૂરિ આ ફિલ્મ લઈને મારી પાસે આવ્યા તો મેં કહ્યું કે આ નિયતિ છે. હું આ ફિલ્મમાં સામેલ થઈ શકું એટલા માટે જ આ ફિલ્મ બની છે. મેં નક્કી કર્યું કે મારે આ તક નથી જવા દેવી. મારી પહેલી ફિલ્મથી જ હું નસીબદાર છું કે મેં અત્યાર સુધી જે પણ રોલ ભજવ્યા છે એ બધા અલગ રહ્યા છે. એ પછી ‘ઔરંગઝેબ’ હોય કે પછી ‘ઇશકઝાદે’ હોય. નેગેટિવ રોલ કરવાથી હું કદી પણ ગભરાયો નથી. એથી મને એ વાતની ખુશી છે કે મેં જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછો આવ્યો છું.’

entertainment news bollywood bollywood news upcoming movie arjun kapoor