રિચા ચઢ્ઢાના ટ્વીટ પર ગુસ્સે થયા અનુપમ ખેર, કહ્યું- આનાથી વધુ શરમજનક શું હોઈ શકે

25 November, 2022 06:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મામલો વધુ બગડતો જોઈને રિચા ચઢ્ઢાએ પોતાના ટ્વીટ માટે જાહેરમાં માફી માગી હતી

ફાઇલ તસવીર

બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા (Richa Chadha) ગલવાન વેલી વિશે ટ્વીટ કરી મુશ્કેલીમાં પડી ગઈ છે. શરૂઆતમાં સોશિયલ મીડિયા યુઝર્સે તેની આકરી ટીકા કરી હતી અને હવે મોટા સ્ટાર્સ પણ તેની સામે આવી ગયા છે. અક્ષય કુમાર બાદ હવે અનુપમ ખેરે (Anupam Kher) રિચા ચઢ્ઢાના ટ્વીટ પર પોતાની આકરી પ્રતિક્રિયા આપી છે અને તેના કૃત્યને શરમજનક ગણાવ્યું છે.

અનુપમ ખેરે પ્રતિક્રિયા આપી

અનુપમ ખેરે ટ્વીટ કર્યું, “દેશનું ખરાબ કરીને કેટલાક લોકોમાં લોકપ્રિય બનવાની કોશિશ કરવી એ કાયર અને નાના લોકોનું કામ છે. સેનાનું સન્માન દાવ પર લગાવવું… આનાથી વધુ શરમજનક વાત શું હોઈ શકે.” હવે અનુપમ ખેરના આ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપતા યુઝર્સ લખી રહ્યા છે કે અમને તેમના પર ગર્વ છે.

અક્ષય કુમારે નારાજગી વ્યક્ત કરી હતી

મામલો વધુ બગડતો જોઈને રિચા ચઢ્ઢાએ પોતાના ટ્વીટ માટે જાહેરમાં માફી માગી હતી, પરંતુ આમ છતાં આ મામલો અત્યારે થાળે પડે એવું લાગતું નથી. ગઈકાલે જ અક્ષય કુમારે ટ્વિટર પર લખ્યું હતું કે રિચાની ટ્વીટ જોઈને તેને `દુઃખ` થયું છે. તેણે રિચાના ડિલીટ કરેલા ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને પોતાની નિરાશા વ્યક્ત કરી.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં આર્મીના નોર્ધન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ ઉપેન્દ્ર દ્વિવેદીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે “ભારતીય સેના (PoK) પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને ફરીથી પોતાના નિયંત્રણમાં લેવા સરકારના આદેશની રાહ જોઈ રહી છે.” તેના પર રિચાએ લખ્યું હતું કે, “ગલવાન નમસ્તે કહી રહ્યું છે.” આ પછી મામલો ગરમાયો હતો. લોકો રિચા ચઢ્ઢા પર ભારતીય જવાનોની શહાદતની મજાક ઉડાવવાનો આરોપ લગાવવા લાગ્યા.

આ પણ વાંચો: અભિનેતા Vikram Gokhaleના સ્વાસ્થ્ય સંબંધિત અપડેટ આવી સામે, જાણો શું છે સ્થિતિ

entertainment news bollywood news richa chadha