Amrish Puri Death Anniversary : બ્રેઈન હેમરેજને કારણે ‘મોગેમ્બો’નું મૃત્યુ થયું હતું

12 January, 2022 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજના દિવસે વર્ષ ૨૦૦૫માં અભિનેતાના મૃત્યુએ સૌને શોકમાં મુકી દીધા હતા

અમરીશ પુરીની ફાઇલ તસવીર

બૉલિવૂડમાં ‘વિલનના શહેનશાહ’ના નામે જાણીતા અભિનેતા અમરીષ પુરી (Amrish Puri)એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક જુદી છાપ પાડી છે. ૧૨ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ ૭૨ વર્ષની વયે બ્રેઈન હેમરેજથી તેમનું અવસાન થયું હતું. તેમના નિધનથી સમગ્ર બૉલિવૂડ શોકમાં ડૂબી ગયું હતું. આજે તેમની પુણ્તિથી નિમિત્તે તેમના જીવનની કેટલીક જાણી-અજાણી બાબતો પર નજર કરીએ.

૨૨ જૂન ૧૯૩૨ના રોજ જન્મેલા અમરીશ પુરીએ વર્ષ ૧૯૭૧માં ‘રેશ્મા ઔર શેરા’ સાથે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે કદી પણ પાછું વળીને જોયુ નહોતું. અમરીશ પુરીએ પોતાની કારકિર્દીમાં એક કરતા વધુ પાત્રો ભજવ્યા હતા, પરંતુ તેમને લોકપ્રિયતા માત્ર વિલન બનીને જ મળી હતી. અમરીશ પુરી ખલનાયકનો રોલ એ રીતે નિભાવતા હતા કે એક સમય એવો આવ્યો જ્યારે લોકો તેમને હિન્દી ફિલ્મોમાં `ખરાબ વ્યક્તિ` તરીકે ઓળખવા લાગ્યા. અમરીશ પુરીના બાળકોના મિત્રો પણ તેમના ઘરે આવતા ડરતા હતા. તેમણે પોતાના અવાજથી એક અલગ જ ઓળખ બનાવી હતી. પડદા પર તેમની એક્ટિંગ જોઈને દર્શકો પણ ડરી ગયા હતા. અમરીશ પુરીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં ૪૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ આજે પણ તેઓ ૧૯૮૭માં આવેલી ફિલ્મ `મિસ્ટર ઈન્ડિયા`ના `મોગેમ્બો`થી જ ઓળખાય છે.

હિન્દી સિનેમામાં અમરીશ પુરીની ડિમાન્ડ એટલી બધી હતી કે એક સમય એવો આવ્યો જ્યારે તેઓ હિન્દી ફિલ્મોના સૌથી મોંઘા વિલન બની ગયા. કહેવાય છે કે, એક ફિલ્મ માટે તેઓ એક કરોડ રુપિયા સુધી ચાર્જ લેતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે અમરીશ પુરીએ ૪૦ વર્ષની ઉંમરે ફિલ્મોમાં પગ મૂક્યો હતો. તેઓ મોટા ભાઈના કહેવા પર મુંબઇ આવ્યા હતા અને પહેલા ઓડિશનમાં રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મુંબઇમાં શરુઆતના દિવસોમાં તેમણે બેન્કમાં કામ કરવાનું ચાલુ કર્યું. આ દરમિયાન તેઓ ઉર્મિલા દિવેકરને મળ્યા, જેમની સાથે પછીથી તેમણે લગ્ન કર્યા હતા. બૉલિવૂડના વિલનનું ક્યારેક કોઈ સાથે સંબંધોમાં કે અફેરમાં નામ નથી જોડાયું નહોતુ.

‘રામ લખન’, ‘સૌદાગર’, ‘કરણ અર્જુન’ અને ‘કોયલા’ જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મ ‘નાગિન’માં તેમણે કરેલા તાંત્રિકના પાત્રને આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી. ફિલ્મોમાં અમરીશ પુરીને ઘણી વખત નશામાં ધૂત બતાવવામાં આવ્યા હતા પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ દારૂ પિતા નહોતા.

આજે પણ અમરીશ પુરીની ફિલ્મોનો જાદુ લોકોના દિલ અને દિમાગ પર છવાયેલો છે.

entertainment news bollywood bollywood news