04 August, 2020 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચનને નાણાવટી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતાં તેમણે અભિષેક બચ્ચનને પણ જલદી રજા મળી જાય એવી પ્રાર્થના કરી છે. તેઓ કોરોનાની સારવાર માટે ઘણા દિવસોથી હૉસ્પિટલમાં દાખલ હતા. અમિતાભ બચ્ચને બ્લૉગ પર લખ્યું હતું કે ‘કોરોના વાઇરસથી મુક્તિ મળતાં હું ઘરે આવીને ખૂબ ખુશ થયો છું. જોકે મોંમાં આવતા વિચિત્ર ટેસ્ટથી છુટકારો નથી મળ્યો. અભિષેક હજી પણ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. મેડિકલ કન્ડિશન્સ, ટેસ્ટ્સ, લૅબ રિપોર્ટ્સ, ફિઝિકલ અને વિઝ્યુઅલનું મૂલ્યાંકન સ્પેશ્યલિસ્ટ્સના દિમાગમાં ચાલતું હોય છે. દર કલાકે તેઓ કન્સલ્ટ કરે છે, માહિતી પૂરી પાડે છે અને પોતાનો અનુભવ શૅર કરે છે. સાથે જ તેઓ એ વાતની પણ ખાતરી આપે છે કે બધું જ ઠીક થઈ જશે. જોકે તેઓ પોતે જ અન્ય લોકોને વાઇરસથી બચાવવા માટેની સ્ટ્રગલ કરી રહ્યા છે. અભિષેકની મને ચિંતા થઈ રહી છે. તે જલદી જ ઘરે આવી જાય એવી પ્રાર્થના કરું છું.’